અમદાવાદમાં પહેલા અઢી વર્ષની ટર્મના મેયરપદ માટે અનુસૂચિત જાતિ (એસસી)ના મેયર અને બીજી અઢી વર્ષની ટર્મનું મેયરપદ મહિલા માટે અનામત રહેશે.
હિમાંશુ વાળાની ભાવિ દલિત મેયર તરીકે ચર્ચા
કોર્પોરેશનમાં જીત હાંસલ કરશે તો મેયરપદ માટેના હોટ ફેવરિટ ઉમેદવાર
ઉત્સાહીઓની મહત્ત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું
રાજ્ય સરકારના ગઈ કાલના જાહેરનામા મુજબ અમદાવાદમાં પહેલા અઢી વર્ષની ટર્મના મેયરપદ માટે અનુસૂચિત જાતિ (એસસી)ના મેયર અને બીજી અઢી વર્ષની ટર્મનું મેયરપદ મહિલા માટે અનામત રહેશે. ૧૯૯૫ પછી એટલે કે ૨૫ વર્ષે શહેરને અનુસૂચિત જાતિના મેયર મળશે. આગામી તા. ૨૧ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર હોઈ તેનાં પરિણામને આધારે શહેરના શાસકો નક્કી થશે. તા. ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી હોઈ ૨૪ કલાકની અંદર રાજકીય પક્ષોની હાર-જીતનો ફેંસલો થઈ જશે. જોકે ભાજપ તરફથી દલિત મેયરપદે હિમાંશુ વાળાને વધુ પસંદ કરાશે તેવી ચર્ચાએ અત્યારથી જોર પકડ્યું છે.
કોર્પોરેશનમાં જીત હાંસલ કરશે તો મેયરપદ માટેના હોટ ફેવરિટ ઉમેદવાર
પશ્ચિમ ઝોનના વાસણા વોર્ડમાં ચાર બેઠકની પેનલમાં ત્રીજી અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પરથી નવાસવા ઉમેદવાર હિમાંશુ વાળા ભાગ્ય અજમાવવા જઈ રહ્યા છે. પહેલી વખત ચૂંટણી લડનારા હિમાંશુ વાળા અત્યારથી ભાજપની છાવણીમાં જો પક્ષ સતત ચોથી ટર્મ માટે મ્યુનિ. કોર્પોરેશનમાં જીત હાંસલ કરશે તો મેયરપદ માટેના હોટ ફેવરિટ ઉમેદવાર બની ગયા છે. વાસણાના અન્ય ઉમેદવારો સોનલ ઠાકોર, સ્નેહલ પરમાર અને મેહુલ શાહ પૈકી એકમાત્ર સ્નેહલ પરમારને ભાજપે રિપિટ કર્યા છે.
હિમાંશુ વાળાની ભાવિ દલિત મેયર તરીકે ચર્ચા
હાલમાં હિમાંશુ વાળાની ભાવિ દલિત મેયર તરીકે ચર્ચા થઈ રહી છે, કેમ કે તેઓ બેન્ક ઓફ બરોડાના પૂર્વ અધિકારી છે. ઉપરાંત બહેરામપુરામાં પહેલા યુવા મોરચા અને પછી એબીવીપી સાથે સંકળાયેલા હતા. રાજકારણમાં ઊતરવા તેમણે બેન્ક ઓફ બરોડામાંથી રાજીનામું આપ્યું હતું. જ્યારે અન્ય ચર્ચાતું નામ ખોખરા વોર્ડના ચેતન પરમારનું છે. ખોખરા વોર્ડમાં ગત ટર્મના નયન બ્રહ્મભટ્ટ, મહેન્દ્ર પટેલ, કલાવતી કલબુર્ગી અને જયમીન દવે એમ ચારેય સીટિંગ કોર્પોરેટરને ઘેર બેસાડીને જિગિષા એસ. સોલંકી, શિવાની જનેઇકર, ચેતન એમ. પરમાર અને કમલેશ એમ. પટેલ- એમ આખી નવી પેનલને ઉતારી છે. દલિત મેયર તરીકે ચર્ચામાં આવેલા ચેતન પરમાર અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી છે.
પૂર્વ ડેપ્યુટી મેયર દર્શના વાઘેલા, દિનેશ મકવાણા વગેરેનાં નામ ચર્ચામાં
ગત તા. ૧ ફેબ્રુઆરીથી શહેરને નવા દલિત મેયર મળે તેવી શક્યતા તળે મળે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાતું હતું. આ શક્યતાના આધારે પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ ડેપ્યુટી મેયર દર્શના વાઘેલા, દિનેશ મકવાણા વગેરેનાં નામ ચર્ચામાં આવ્યાં હતાં.
ઉત્સાહીઓની મહત્ત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું
જીતુ વાઘેલા અને દર્શના વાઘેલાએ પુનઃ ચૂંટણી લડવાની ઇચ્છા હાઈકમાન્ડ સમક્ષ દર્શાવી હતી. જોકે ભાજપે જૂના જોગીઓને ટિકિટ નહીં આપવાની તેમજ ત્રણ ટર્મ કે તેથી વધુ ચૂંટાયેલાને ટિકિટ ન આપવાના નવા માપદંડ જાહેર કરતા આ તમામ ઉત્સાહીઓની મહત્ત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું હતું. હવે દલિત મેયર બનવાની સ્પર્ધામાં સાવ જ નવા નિશાળિયા જેવા ઉમેદવારની ચર્ચા ચાલે છે, જેમાં આ બે નામને બદલે અચાનક અન્ય નામ મેયરપદની સ્પર્ધામાં ઊછળીને સામે આવે તો તેમાં પણ ભાજપની કાર્યપદ્ધતિ જોતાં નવાઈ પામવા જેવું નથી.