કોરોનાકાળમાં હજી પણ બેદરકારીની હોસ્પિટલ ધમધમી રહી છે, ત્યારે અમદાવાદની વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. મણિનગર વિસ્તારની લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે હોસ્પિટલે કહ્યું કે, આગ નથી લાગી સ્પાર્કિંગ થયું હતું. મહત્વનું છે કે, બાળકોની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવી દેતા થોડા સમય અગાઉ કોંગ્રેસે પ્રહાર કર્યા હતા.
કોરોનાકાળમાં ધમધમી રહી છે બેદરકારીની હોસ્પિટલ
અમદાવાદની વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ
મણિનગરની લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ
રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જેનાથી દર્દી ઝડપથી સ્વસ્થ થાય. પરંતુ ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં એક બાદ એક દુર્ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં અનેક દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે હવે અમદાવાદની વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. અમદાવાદના મણિનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગી છે. હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા આવ્યો હતો. સદનસીબે હજુ સુધી કોઇ જાનહાનિ થવા પામી નથી. જોકે હોસ્પિટલ દ્વારા આગ ન લાગી હોવાનું કહેવામાં આવ્યું છે.
આગ નથી લાગી સ્પાર્કિંગ થયું છેઃ હોસ્પિટલ તંત્ર
આ ઘટનાના પગલે હોસ્પિટલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આગ લાગી નથી પરંતુ સ્પાર્કિંગ થયું છે. હોસ્પિટલમાં તમામ દર્દીઓ સુરક્ષિત છે. હાલ હોસ્પિટલમાં 5 દર્દીઓ ઓક્સિજન પર છે.
આગની ઘટનાઓ બાદ પણ હોસ્પિટલો બેદરકારી રાખે છેઃ મનીષ દોશી
તો બીજી તરફ એક બાદ એક હોસ્પિટલમાં બનતી આગની ઘટનાઓના પગલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને હોસ્પિટલ અને સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આગની ઘટનાઓ બાદ પણ હોસ્પિટલો બેદરકારી રાખે છે. આગ લાગ્યા બાદ પણ હોસ્પિટલો જાગતી નથી. લોકો સ્વસ્થ થવા માટે હોસ્પિટલ આવે છે, ત્યારે સ્વસ્થ થવાના બદલે લોકો આગમાં હોમાઇ જાય છે. દુર્ઘટનાઓણાં જેમણે સ્વજન ગુમાવ્યા હોય તેને જ સાચુ દુઃખ ખબર હોય છે. સરકારે હોસ્પિટલોને લૂંટનું સાધન બનાવ્યું છે. શ્રેય હોસ્પિટલમાં માનવ જિંગદી હોમાવા છતા સરકાર જાગતી નથી, હજુ પણ કેટલીક હોસ્પિટલમાં આગની શક્યતાઓ છે. ફાયર સેફ્ટીના પણ અભાવ છે. અમદાવાદની અગાઉની 8 ઘટના બાદ પણ સરકાર સુધરવાનું નામ નથી લેતી.
અગ્નિકાંડ બાદ પણ હજુ તંત્ર ઘોર નિંદ્રામાં
થોડા મહિના અગાઉ કોંગ્રેસ દ્વારા આજ હોસ્પિટલને લઇને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. મણિનગરમાં ગેરકાયદે કોરોના હોસ્પિટલ ચાલતી હોવાનો આક્ષેપ કોંગ્રેસના ડેલીગેટ રાજેશ સોનીએ લગાવ્યો હતો. રેસિડન્ટમાં ગેરકાયદે હોસ્પિટલ ચાલતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો. મણિનગરના લિટલ ફ્લાવર હોસ્પિટલમાં મોટી બેદરકારી હોવાનો આક્ષેપ કરાયો હતો. અગ્નિકાંડ બાદ પણ હજુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. બાળકોની હોસ્પિટલને કોવિડની સારવાર માટે ફાળવી દેવાઈ છે રેસિડન્સમાં ગેરકાયદેસર હોસ્પિટલને સત્તાધીશોને તંત્ર છાવરે છે તેવો આક્ષેપ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ બાદ અમદાવાદની વધુ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના છતાં હજુ પણ ગેરકાયદેસર બાંધકામ કરેલા હોસ્પિટલમાં તંત્ર કોવિડ વોર્ડ તરીકે સરકાર ફાળવી રહી છે. તપાસનાં નામે પ્રશ્નનાર્થ જોવા મળી રહ્યો છે.