સખત કાયદા માટે દુનિયાભરમાં કુખ્યાત એવા ઉત્તર કોરિયાએ આંચકો સર્જાય તેવું વધુ એક ફરમાન જાહેર કર્યું છે.
કિમ જોંગ ઉને લગાવ્યો પ્રતિબંધ
11 દિવસ સુધી કોઇ હસી કે રડી નહી શકે
11 દિવસ સુધી મનાવવો પડશે શોક
ઉત્તર કોરિયાના તાનાશાહ કિંગ જોન ઉને હવે લોકોના હસવાના કુદરતસહજ અધિકાર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. એટલું જ નહીં, જો કોઈ નાગરિક આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને સખતમાં સખત સજા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઉત્તર કોરિયામાં આવા તાનાશાહી ફરમાન પાછળના કારણો શું હોઈ શકે?
પોતાના દેશમાં સખત કાયદા માટે દુનિયાભરમાં કુખ્યાત એવા ઉત્તર કોરિયાએ આંચકો સર્જાય તેવું વધુ એક ફરમાન જાહેર કર્યું છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિંગ જોન ઉને હવે લોકોના હસવાના કુદરત સહજ અધિકાર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. એટલું જ નહીં, જો કોઈ નાગરિક આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને સખતમાં સખત સજા આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
કિમ જોંગ ઈલની 10મી પુણ્યતિથિને કારણે બનાવ્યો નિયમ
આ સાંભળીને આપને નવાઈ અને આંચકો પણ લાગશે, પરંતુ હકીકતમાં વાત એમ છે કે, ઉત્તર કોરિયા પોતાના પૂર્વ નેતા કિમ જોંગ ઈલના મૃત્યુની 10મી વરસી મનાવી રહ્યું છે. લોકો કિમ જોંગ ઈલના પ્યોંગયાંગ સ્થિત માનસૂ હિલ ખાતેના સમાધિસ્થાન પર આવીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
11 દિવસ સુધી મનાવવો પડશે શોક
11 દિવસ સુધી અહીં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાવાના છે. આથી આગામી 11 દિવસ સુધી ઉત્તર કોરિયામાં નાગરિકોએ શોક મનાવવો પડશે. આ દિવસો દરમિયાન નાગરિકો ન તો ખુશીની અભિવ્યક્તિ કરી શકશે કે ન તો હસી શકશે. આ દરમિયાના જો કોઈ વ્યક્તિ શરાબ પીતો જોવા મળશે તો તેને સીધી મોતની સજા ફટકારવામાં આવશે.
સ્વજનોના મૃત્યુ પર રડવા પર પણ પ્રતિબંધ
આપને જણાવી દઈએ કે, કિમ જોંગ ઈલે ઉત્તર કોરિયા પર 1994થી 2011 સુધી એમ સળંગ 17 વર્ષ શાસન કર્યું હતું. કોરિયાના આ ક્રૂર તાનાશાહ કિમ જોંગ ઈલનું 17 ડિસેમ્બર,2011માં હૃદયરોગના કારણે નિધન થયું હતું. ત્યારે હવે તેના નિધનને 10 વર્ષ પૂરા થવાથી ઉત્તર કોરિયાના લોકોને 11 દિવસનો `સખત શોક' મનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આથી હવે 11 દિવસ સુધી ઉત્તર કોરિયાના કોઈ નાગરિકો કોઈ પણ પ્રકારની ખુશી દર્શાવતી કામગીરી કરી શકશે, કોઈ પોતાનો જન્મદિવસ પણ મનાવી શકશે નહીં.
બજારમાંથી ખરીદી પણ નહીં કરી શકાય
એટલું જ નહીં, આ 11 દિવસ સુધી લોકો બજારમાંથી નવા સામાનની ખરીદી પણ કરી શકશે નહીં. નવાઈની વાત એ છે કે, 11 દિવસના શોક દરમિયાના જો કોઈ નાગરિકના ઘરે સ્વજનનું મૃત્યુ થયું હશે તો પણ તેઓ રડવાની મંજૂરી અપાશે નહીં. વળી, તેઓ શોકના દિવસો સમાપ્ત થયા બાદ જ સ્વજનના અંતિમસંસ્કાર કરી શકશે.
જો કોઈ એવું કરશે તો તેમને વૈચારિક અપરાધી ગણીને સજા કરવામાં આવશે. લોકો નવા ફરમાનનું પાલન કરે છે કે નહીં તે જાણવા પોલીસ અધિકારીઓને લોકો પર સતત નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.