કર્ણાટકમાં બુધવારે એટલે જે આજે કોંગ્રેસ-JDS ગઠબંધન શપથ ગ્રહણ કરશે. જેમાં મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી અને ઉપમુખ્યમંત્રી પરમેશ્વર શપથ ગ્રહણ કરશે.
મંત્રીમંડળના અન્ય સભ્યોનો શપથ કાર્યક્રમ બાદમાં ગોઠવવામાં આવશે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે મંત્રીમંડળમાં કુલ 34 મંત્રી સામેલ છે.
મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીના શપથ લીધા બીજા દિવસે એટલે કે 24મે બહુમત પરીક્ષણ કરવામાં આવશે. વેણુગોપાલના જણાવ્યા મુજબ 34 મંત્રીમાંથી કોંગ્રેસ તરફથી 22 મંત્રી હશે જ્યારે JDS તરફથી 12 મંત્રી બનશે.
કર્ણાટકની રાજનીતિમાં ભારે ઉતાર-ચઢાવ દરમિયાન કોંગ્રેસ અને JDSના તારણહાર તરીકે રહેલ ડીકે શિવકુમાર પણ શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજર રહેશે. મુખ્યમંત્રી પદના શપથ લીધાના એક દિવસ પહેલા એચ.ડી. કુમારસ્વામીએ મંગળવારે હિન્દુઓના પવિત્ર સ્થાનો અને મંદિરોમાં પ્રાર્થના કરી હતી.