રાજ્યમાં પોતાની 23 ટકા વસ્તી હોવા છતાં રાજકીય સન્માન નથી મળતું તેવી સમાજના આગેવાનોની લાગણી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પાટીદાર બાદ કોળી સમાજમાં ચર્ચા તેજ
ટિકિટ ફાળવણીમાં અન્યાયની ચર્ચા
મહાસંમેલન બોલાવવાની તૈયારીઓ
ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને આ ચૂંટણી પહેલા રાજ્યમાં સામાજિક અને રાજકીય હલચલ અચાનક જ તેજ થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓ અત્યારથી ચૂંટણીના મૂડમાં આવી ગઈ હોય તેમ તૈયારીઓ શરૂ કરી રહી છે જ્યારે સામે પક્ષે પાટીદાર સહિતના સમાજના આગેવાનો રાજકીય દ્રષ્ટિએ સક્રિય થઈ ગયા છે.
પાટીદાર સમાજની બાદ કોળી સમાજમાં ચર્ચાઓ તેજ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઓછા થતાં જ ચૂંટણીને લઈને દોડધામ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલા જ ખોડલધામ ખાતે રાજ્યના 10 મોટા પાટીદાર અગ્રણીઓએ બેઠક કરી હતી. આ બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ વધી ગઈ. બેઠકમાં નરેશ પટેલે નિવેદન આપી દીધું કે આગામી મુખ્યમંત્રી પાટીદાર હોય તેના પર ચર્ચા કરવામાં આવશે સમાજ કઈ રીતે આગળ આવે તેના પર ચર્ચા કરવામાં આવશે. ત્યારથી જ ગુજરાતમાં જાતિગત રાજકારણ પણ ગરમાયું છે.
રાજ્યમાં 23 ટકા વસ્તી છતાં નથી મળતું રાજકીય સન્માન
પાટીદારો બાદ હવે ગુજરાતમાં કોળી સમાજમાં હિલચાલ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં પોતાની 23 ટકા વસ્તી હોવા છતાં રાજકીય સન્માન નથી મળતું તેવી સમાજના આગેવાનોની લાગણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આટલું જ કોળી સમાજનું માનવું છે કે રાજ્યમાં રાજકીય પદ અને ટિકિટ ફાળવણીમાં પણ અન્યાય કરવામાં આવે છે. એવામાં હવે કોળી સમાજ દ્વારા મહાસંમલેન કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
સોમનાથ ખાતે મહાસંમેલન બોલાવવાની તૈયારીઓ શરૂ
|જોકે સમાજના આગેવાનો દ્વારા સત્તાવાર જાહેરાત કરવાની હજુ બાકી છે પણ ટૂંક સમયમાં જ સોમનાથ ખાતે મહાસંમલેન બોલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આટલું જ નહીં પ્રાચી અને ગાંધીનગરમાં પણ સંમેલન બોલાવી શકાય છે.
જાતિગત રાજકારણ તેજ
પાટીદારોના નિવેદન બાદ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં OBC-ઠાકોર સમાજ અથવા દલિત સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ. એવામાં હવે આગામી સમયમાં ગુજરાતમાં જાતિગત રાજકારણ વધુ થાય તેવા અણસાર છે.