ભાવનગર બાદ ગીર-સોમનાથના પ્રાચી તીર્થધામ ખાતે કોળી સમાજનું સંમેલન યોજાયું હતું, સંમેલનમાં સૌથી મહત્વનો મુદ્દે કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાનો ઉઠ્યો હતો
પ્રાચી ખાતે કોળી સમાજની ચિંતન શિબિર પૂર્ણ
અખિલ ભારતીય કોળી સમાજ મહામંત્રી જેઠાભાઇ જોરાનુ નિવેદન
"કોળી સમાજનો મુખ્ય મંત્રી બનાવવા ચર્ચા થઈ"
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર સમાજના પગલે કોળી સમાજના પણ સંમેલન યોજાયું હતું. એક સપ્તાહમાં આ બીજુ સંમેલન યોજાયું છે. ભાવનગર બાદ ગીર-સોમનાથના પ્રાચી તીર્થધામ ખાતે કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં સૌથી મહત્વનો મુદ્દે કોળી સમાજના મુખ્યમંત્રી બનાવવાનો ઉઠ્યો હતો. અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી જેઠાભાઇ જોરાએ નિવેદન આપ્યું કે, કોળી સમાજના સૌથી વધુ મતદાર છે. અમારા આગેવાનોને નાનું ખાતું આપી દેવામાં આવે છે. આગામી દિવસોમાં ગાંધીનગરમાં શિબિર યોજાશે.
કોળી સમાજના આગેવાન જેઠાભાઈ જોરાએ કહ્યું કે, પાટીદારો જો મુખ્યમંત્રીના પદની માગણી કરી રહ્યા હોય તો, અમારો સમાજ સૌથી મોટો સમાજ છે. અને અમારા સમાજમાંથી મુખ્યમંત્રી કેમ ન હોઈ શકે. ગુજરાતની 45 જેટલી બેઠક એવી છે. જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ છે. 45 બેઠક એવી છે જ્યાં કોળી સમાજનો કોઈ પણ ઉમેદવાર ઉભો રહે તો, તે જીતી શકે છે. અંતમાં કહ્યું કે, જો સમગ્ર કોળી સમાજ એક મંચ પર આવે અને અન્ય સમાજ સમર્થન આપશે. તો અમારો મુખ્યમંત્રી જરૂર બનશે.