લોકગાયક કિર્તીદાન ગઢવીના સૂર સાથે દેશભક્તિમાં મુગ્ધ બન્યા
અત્યારે સમગ્ર દેશમાં આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા પર 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઉજવણી થઇ રહી છે. ત્યારે દેશભરના લોકોમાં તો 'હર ઘર તિરંગા' અભિયાનને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ વિદેશની ધરતી પર પણ આપણા ભારતીયો દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકગાયક કિર્તીદાન ગઢવીના સૂર સાથે ઓસ્ટ્રેલિયાના પર્થમાં ગુજરાતીઓ તિરંગો લહેરાવી દેશભક્તિમાં મુગ્ધ બની ગયા હતા.
ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયાના પર્થમાં પૂરા જોશ સાથે દેશભક્તિના ગીતો લલકાર્યા હતા. એ દરમ્યાન ગુજરાતીઓએ ગરબાની પણ રમઝટ બોલાવી ‘ભારત માતા કી જય’નો જયઘોષ કર્યો હતો.
કિર્તીદાન ગઢવીએ પ્રિ-નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ આઝાદી કા અમૃત મહોત્સવથી કર્યો
કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયાના પર્થમાં 'યે દેશ હૈ વીર જવાનો કા' અને 'દિલ દિયા હૈ, જાન ભી દેંગે, એ વતન તેરે લીયે' સહિતના દેશભક્તિના ગીતો ગાતા જ ગુજરાતીઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. કિર્તીદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં પ્રિ-નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ આઝાદી કા અમૃત મહોત્સવથી કર્યો હતો. કિર્તીદાન ગઢવીના સૂર સાથે સૌ ભારતીયો વતનપ્રેમમાં તરબોળ થઇ ગયા હતા.
PM મોદીએ પણ 'હર ઘર તિરંગા અભિયાન'ને મળી રહેલા અદભુત પ્રતિસાદના વખાણ કર્યા
અત્રે જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શનિવારે ભારતની સ્વતંત્રતાના 75મી વર્ષગાંઠને ચિન્હીત કરવા માટે દેશભરમાં શરૂ થયેલા 'હર ઘર તિરંગા અભિયાન'ને મળી રહેલા અદભુત પ્રતિસાદના વખાણ કર્યા હતા.
PM મોદીએ આ અવસરે કહ્યું હતું કે, 'હું બહું ખુશ અને ગૌરવાન્વિત છું. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, હર ઘર તિરંગા આંદોલનની અદભુત પ્રતિક્રિયાથી બહું ખુશ અને ગૌરવાન્વિત છું. આપણે જીવનના અલગ અલગ ક્ષેત્રોમાં રેકોર્ડ ભાગીદારી જોઈ રહ્યાં છીએ. આઝાદીના અમૃત મહોત્સવને ચિન્હીત કરવાની આ એક શાનદાર રીત છે.'
Overjoyed and proud of the amazing response to the #HarGharTiranga movement. We are seeing record participation from people across different walks of life. This is a great way to mark Azadi Ka Amrit Mahotsav. Do also share your photo with the Tiranga on https://t.co/0CtV8SCMF7
અત્યાર સુધીમાં વેબસાઈટ પર બે કરોડથી વધારે લોકોએ સેલ્ફી અપલોડ કરી છે
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ લોકોને હર ઘર તિરંગા આંદોલનની સત્તાવાર વેબસાઈટ પર તિરંગાની સાથએ પોતાની તસ્વીર શેર કરવાની પણ અપીલ કરી છે. વેબસાઈટ અનુસાર અત્યાર સુધીમાં વેબસાઈટ પર બે કરોડથી વધારે લોકોએ સેલ્ફી અપલોડ કરી છે. વડાપ્રધાન મોદીએ આ અભિયાન અંતર્ગત દેશભરમાં કેટલીય જગ્યાઓ પર આયોજીત સમારંભની ઝલક પણ શેર કરી હતી.