કોરોના વાયરસના કેસની સુનામીને જોતાં કેરળમાં સરકારે વિકેન્ડ પર સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાયરસના કારણે પરિસ્થિતિ બગડી
કેરળમાં ફરીથી સંપૂર્ણ લૉકડાઉનના આદેશ
શાળાઓ પણ બંધ કરાવવામાં આવી
કેરળમાં ફરીથી હાલાત બેકાબૂ
ગુજરાત સહિત આખો દેશ અત્યારે કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કેરળમાં તો કોરોનાની ગતિ રોકાવાનું નામ નથી લઈ રહી. એક સમયે જે કેરળના આખા દેશમાં વખાણ કરવામાં આવી રહ્યા હતા ત્યાં જ બીજી લહેર અને હવે ત્રીજી લહેરમાં હાલત બદતર થઈ રહ્યા છે. બેકાબૂ કોરોનાને રોકવા આખરે સરકારે હવે કડક પ્રતિબંધો લગાવવાનો નિર્ણય કર્યો છે.
સંપૂર્ણ લૉકડાઉનનો નિર્ણય
કેરળમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે ત્યારે હવે આગામી બે રવિવારે આખા રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન કરવામાં આવશે. આ લૉકડાઉનમાં માત્ર આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે કેરળમાં પોઝોટીવીટી રેટ 40 ટકાને પાર જતો રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક કહી શકાય.
ગુરુવારે કેરળમાં 46387 નવા કેસ સામે આવ્યા છે તથા 15388 દર્દીઓ સાજા થયા છે. આ સિવાય 32 દર્દીઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.
અન્ય કડક પ્રતિબંધો પણ લાગ્યા
રાજ્ય સરકારે તમામ શાળાઓને તાળાં લગાવી દેવાના આદેશ આપ્યા છે જે બાદ માત્ર ઓનલાઈન જ ભણતર કરવામાં આવશે. 2 વર્ષથી નાના બાળકોની માતાઓને વર્ક ફ્રોમ કરવાની સૂચના આપવામાં આવી છે. આટલું જ નહીં પરિસ્થિતિ મુજબ સ્થાનિક સ્તરે તંત્ર દ્વારા કડક નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે.
દિલ્હીમાં નહીં હટાવાય વિકેન્ડ કર્ફ્યૂ
દિલ્હીમાં આંશિક લૉકડાઉન સહિતના કડક પ્રતિબંધો હજુ પણ યથાવત જ રહેશે, આજે સવારે જ કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો હતો પરંતુ રાજ્યના LGએ આ નિર્ણયને મંજૂરી આપી નથી. કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે નવા કેસ ઓછા થવાના કારણે કેજરીવાલ સરકારે નિર્ણય કર્યો હતો કે પ્રતિબંધો હટાવવામાં આવે. આ સિવાય દુકાનોમાં પણ ઓડ-ઈવન ફોર્મ્યુલાના કારણે લોકોને તકલીફ પડી રહી હતી ત્યારે લોકોની નારાજગીને જોતાં સરકારે પ્રસ્તાવ ઉપરાજ્યપાલને મોકલ્યો હતો જે બાદ આ નિર્ણય પર 'વીટો' પાવર લગાવી દેવામાં આવ્યો છે. જોકે પ્રાઇવેટ ઓફિસોને લઈને રાહત આપવામાં આવી છે. પ્રાઇવેટ ઓફિસમાં હવેથી 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, જોકે બજારોને લઈને કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિને જોતાં નિયમો લાગુ કરવામાં આવશે.