કેરળમાં કુદરત જાણે કોપાયમાન થયું હોય એમ લાગે છે. કુદરત રીસાય તો કેવી પરિસ્થિતિ સર્જાય તેનું તાદશ ઉદાહરણ કેરળમાં જોવા મળી રહ્યું છે. કેરળમાં વરસેલા વરસાદ બાદ જે પૂર આવ્યું છે તે પૂરે અત્યાર સુધીમાં 357 લોકોનાં જીવ લીધા છે.
બીજી તરફ હજારો લોકો હજુ પણ ફસાયા છે અને લાખો લોકો બેઘર બન્યા છે. કેરળમાં 100 વર્ષનું સૌથી ભયંકર પૂર માનવામાં આવી રહ્યું છે. ત્યારે બચાવ અને રાહત કામગીરી માટે NDRFની 169 ટીમ ખડેપગે છે. એટલું જ નહીં પણ સાથો સાથ બચાવ અને રાહત કામગીરી માટે 22 હેલિકોપ્ટર નેવીની 40 નાવ અને કોસ્ટગાર્ડની 35 નાવ તથા બીએસએફની ચાર કંપની પણ તૈનાત છે.
આ ઉપરાંત સ્થાનિક પોલીસ અને વિવિધ બચાવદળ સિવાય સ્થાનિક યુવકો અને માછીમારો દ્વારા પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયુ છે. NDRFનું માનીએ તો દેશનું આ સૌથી મોટુ રેસ્ક્યૂ ઓપરેશ માનવામાં આવી રહ્યું છે.
ભયંકર પૂરથી પ્રભાવિત લોકોને રાહત અને બચાવ માટે યુદ્ધ સ્તર પર થઇ રહેલા પ્રયત્નોની વચ્ચે બિહાર ઝારખંડ મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોની સરકારો અને નેતાઓએ આર્થિક સહાયતાની જાહેરાત કરી છે. . બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કેરળ માટે 10 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવાર દાસે કેરળના પૂર પ્રભાવિત લોકો માટે પાંચ કરોડ રૂપિયાની રાહત પ્રદાન કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે કેરળ પૂરમાં પૂર પ્રભાવિત લોકોની મદદ માટે 20 કરોડ રૂપિયાના મદદની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે કેરળને દસ કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે 5 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.