દેશમાં કોરોના કેસ વધતા વાલીઓમાં ચિંતાનું મોજૂ ફેલાયું છે અને હવે વિદ્યાર્થીઓ CBSE ટર્મ-2ની પરીક્ષા બહુવિકલ્પીય પ્રશ્નોને આધારે લેવાની માગ કરી રહ્યાં છે
વધી રહેલા કોરોના કેસોની વચ્ચે વિદ્યાર્થીઓની મોટી માગ
26 એપ્રિલે CBSE બોર્ડની ધોરણ 10 અને 12ના બીજા ટર્મની પરીક્ષા યોજાવાની છે પરંતુ તે પહેલા દેશમાં કોરોનાના કેસ વધતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉચાટ ફેલાયો છે. વધતા કોરોના કેસોની વચ્ચે પરીક્ષા કેવી રીતે આપવી તેવો ખરો સવાલ વિદ્યાર્થીઓના મનમાં ઊભો થયો છે. તેથી વિદ્યાર્થીઓ હવે સીબીએસઈ બોર્ડ દ્વારા ગયા વર્ષે કરવામાં આવેલી જાહેરાતનો અમલ કરવાની માગ કરી રહ્યાં છે. બોર્ડે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે જો પરિસ્થિતિ પરીક્ષા માટે અનુકૂળ ન હોય તો ટર્મ -2 ની પરીક્ષા 90 મિનિટના એમસીક્યુ પ્રશ્નોના આધારે લઈ શકાય છે. બોર્ડ હવે આ જાહેરાતનો અમલ કરે તેવી વિદ્યાર્થીઓએ માગ ઉઠાવી છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની 10મા અને 12મા ધોરણની સેમેસ્ટર-2ની પરીક્ષાઓ બહુવિકલ્પીય પ્રશ્રો (એમસીક્યુ)ને આધારે રાખવી જોઈએ તેવી વિદ્યાર્થીઓની માગ છે. વિદ્યાર્થીઓની દલીલ છે કે બોર્ડે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે જો પરિસ્થિતિ પરીક્ષા માટે અનુકૂળ ન હોય તો ટર્મ -2 ની પરીક્ષા 90 મિનિટના એમસીક્યુ પ્રશ્નોના આધારે લઈ શકાય છે.બોર્ડે જાહેરાત કરી હતી કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત વર્ષે 10માં ધોરણની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવશે. પ્રથમ ટર્મ એમસીક્યુ આધારિત પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ થઈ ગઈ છે. ટર્મ-1માં બાળકોનું પરફોર્મન્સ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટર્મ-2ની પરીક્ષા હવે 26 એપ્રિલથી યોજાવાની છે. પરંતુ તે પહેલા જ કોરોનાના કેસ વધવા લાગ્યા છે.
દેશમાં કોરોનાના કેસ ફરી વધવા લાગતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતિત
ખાસ કરીને સ્કૂલના બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ પરીક્ષાને લઈને ચિંતિત બન્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ટ્વિટર પર બોર્ડ પાસે માંગ કરી રહ્યા છે કે ટર્મ-2 ની પરીક્ષા પણ એમસીક્યુ પ્રશ્નોના આધારે લેવામાં આવે.
વિદ્યાર્થીઓએ ટ્વિટર પર શરુ કર્યું અભિયાન
સીબીએસઇ ટર્મ-2ની પરીક્ષા બહુ વિકલ્પીય આધારે લેવામાં આવે તેવી માગ હવે વિદ્યાર્થીઓએ ટ્વિટર પર ઉઠાવી છે. એક વિદ્યાર્થીએ ટ્વિટર પર લખ્યું કે હવે જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ટર્મ-2ને એમસીક્યુ આધારિત પરીક્ષા બનાવવાનો આ યોગ્ય સમય છે.બીજા એક વિદ્યાર્થીએ લખ્યું કે પરીક્ષાઓ કાં તો એમસીક્યુ પ્રશ્નો પર આધારિત હોવી જોઈએ અથવા રદ થવી જોઈએ. વિદ્યાર્થીઓના એક વર્ગે બોર્ડને સીબીએસઈ ટર્મ-2ની પરીક્ષાને વૈકલ્પિક બનાવવાની વિનંતી પણ કરી હતી.