'કહાની ઘર ઘર કી' ફેમ એક્ટર સચિન કુમારનું શુક્રવારે એટલે કે 15 મેએ સવારે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે. એક્ટરના નિધનના સમાચારથી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં છે. કહાની ઘર ઘર કી સીરિયલમાં તેના કો-એક્ટર ચેતન હંસરાજએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતાં આ સમાચાર આપ્યા હતા. તેણે કહ્યું કે, સચિનની આમ અચાનક મોતથી તેને આઘાત લાગ્યો છે.
વધુ એક બોલિવૂડ એક્ટરનું થયું નિધન
હાર્ટ એટેકથી કહાની ઘર ઘર કી ફેમ એક્ટરનું થયું દુઃખદ અવસાન
એક્ટરના અચાનક નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રી શોકમાં
સચિન કુમારના નિધનથી ઈન્ડસ્ટ્રીના તેના મિત્રો રાકેશ પોલ, વિનીત રૈના અને સુરભિ તિવારીએ પણ શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, કહાની ઘર ઘર કી સિવાય સચિને લજ્જા સીરિયલમાં નેગેટિલ ભૂમિકા નિભાવી હતી. જોકે, ત્યારબાદ તેણે એક્ટિંગ છોડી દીધી હતી અને ફોટોગ્રાફર બની ગયો હતો.
જ્યારે એક્ટરના મિત્ર રાકેશ પોલએ કહ્યું- આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. પણ આ જ હકીકત છે. મેં ઘણાં લાંબા સમયથી તેને જોયો નહોતો. તે રાતે પોતાના રૂમમાં ઉંઘવા ગયો અને સવારે ઉઠ્યો જ નહીં. જ્યારે મોડા સુધી તેણે દરવાજો ન ખોલ્યો તો તેના માતા-પિતાને ચિંતા થતાં દરવાજાની ચાવી શોધી અને દરવાજો ખોલ્યો તો તેનું મોત થઈ ચૂક્યું હતું. તે તેના માતા-પિતા સાથે રહેતો હતો.
એવું કહેવાય છે કે, આ ઘટના ગુરૂવારે મોડી રાતે અથવા તો શુક્રવારે સવારે બની હતી. જ્યારે રાકેશને પૂછવામાં આવ્યું કે, તેણે છેલ્લે સચિન સાથે ક્યારે વાત કરી હતી તો તેણે કહ્યું, અમે બે દાયકાથી એકબીજાને જાણીએ છીએ. અમે એક જ વિસ્તારમાં રહેતા હતા અને તે મારા ભાઈ જેવો હતો. અમે એકબીજાના ઘરે આવતા-જતા હતા અને આ દરમિયાન ભજીયા પણ બનાવીને ખાતા હતા.