કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હવે ભાજપના મહારાજ બની ગયા છે. પક્ષ પલ્ટો કરતાની સાથે જ તેમને રાજ્યસભાની ટિકિટ પણ મળી ગઈ છે. સિંધિયા હવે ફરીથી સંસદ બનવા જઈ રહ્યા છે ત્યારે એક સવાલ સૌના મનમાં ઉઠે છે કે સિંધિયાના ભાજપગમનથી પક્ષને શું ફાયદો? ભાજપને આવનારા સમયમાં શું લાભ થઈ શકે? શું સિંધિયાની ભૂમિકા મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા પુરતી સિમિત હશે? શું આવનારી ચૂંટણીમાં પણ ભાજપ તેમનો ઉપયોગ કરશે?
49 વર્ષિય સિંધિયા પ્રદેશનો યુવા ચહેરો છે
ગ્વાલિયર અને ચંબલ વિસ્તારમાં ભાજપની કારમી હાર થઈ હતી
મધ્યપ્રદેશમાં કુલ 11 બેઠકોમાંથી ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 બેઠકો
સિંધિયા પ્રદેશના કદ્દાવર યુવા નેતા છે. ગ્વાલિયર અને ચંબલ વિસ્તારમાં તેમની સારી પકડ છે. તેઓ આ વિસ્તારના નાના મોટા કાર્યક્રમોનો હિસ્સો રહીને સતત જનતા વચ્ચે રહેવાનો પ્રયાસ કરે છે. જોકે, 2019માં ગુના બેઠક પરથી તેઓ ચૂંટણી હારી ચુક્યા હતા પરંતુ તેમની સક્રિયતા યથાવત્ રહી હતી. ભાજપે હાલ તેમને રાજ્યસભાની ટિકિટ આપીને તેમના માટે દિલ્હીના દરવાજા ખોલી દીધા છે. પરંતુ પોતાના અસ્તિત્વની લડાઇમાં સતત જીતતા રહેવા માટે સિંધિયાને રાજ્યની રાજનીતિથી દુર રહેવુ પોશાય તેમ નથી. કારણ કે મધ્યપ્રદેશની રાજનીતિમાં પણ ભાજપના કદ્દાવર નેતાઓ ટાપીને બેઠા છે. જોકે, હાલ તો ભાજપે સિંધિયાને પોતાની તરફ કરીને કમલનાથ સરકારની ઉંઘ હરામ કરી દીધી છે પરંતુ ભાજપે સિંધિયાનો પક્ષપલ્ટો માત્ર રાજ્યસભાની વધારાની એક બેઠક માટે તો નહી જ કરાવ્યો હોય. પાર્ટીએ તેમના માટે લાંબાગાળાના હિતને ધ્યાને લઈને આ નિર્ણય કર્યો છે.
ભાજપ પાસે મધ્યપ્રદેશમાં દિગ્ગજ યુવા ચેહરાની હતી ઉણપ
સિંધિયાની ઉંમર 49 વર્ષ છે તેઓ પ્રદેશનો યુવા ચહેરો છે. એટલે તેમનો ઉપયોગ આવનારી ચૂંટણીમાં સ્ટાર કેમ્પેઇનર તરીકે કરવામાં આવી શકે છે. હાલ રાજ્યમાં ભાજપ પાસે નવી પેઢીનું કોઈ આકર્ષક નેતૃત્વ નથી. એવામાં સિંધિયાની યુવા પ્રતિભા પાર્ટીને ફાયદો પહોંચાડી શકે છે અને શિવરાજસિંહ ચૌહાણ અને નરેન્દ્ર તોમર જેવા વરિષ્ઠ નેતાઓ બાદ યુવા નેતાની ખોટ પુરી કરી શકે તેમ છે.
ગ્વાલિયર અને ચંબલમાં પકડ
2018ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ચૂંટણી ખુબ પાતળી સરસાઈથી હારી ચુક્યું હતું. આ ચૂંટણીમાં ગ્વાલિયર અને ચંબલ વિસ્તારમાં પાર્ટીની ભૂંડી હાર થઈ હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાના આ ગઢની 34 બેઠકોમાંથી ભાજપે 75% બેઠકો પર હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. SC-ST એક્ટના વિરોધમાં સૌથી વધારે આંદોલનો પણ આ વિસ્તારમાં જ થયા હતા અને મતદારો ભાજપથી વિમૂખ થયા હતા. ભાજપ ફરી એકવાર આ મતદારોને સાધવા માટે સિંધિયાનો ઉપયોગ કરી શકે છે.
રાજ્યસભાની ચૂંટણીમાં ફાયદો
રાજ્યમાં વિધાનસભાની કુલ 11 બેઠકોમાંથી ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. તેમાની 3 બેઠકો માટે 26 માર્ટે મતદાન છે. એવામાં સિંધિયાના ભાજપમાં આવ્યા પહેલા ભાજપને 3 માંથી માત્ર 1 બેઠક મળી શકે તેમ હતી. જોકે, સિંધિયાના 22 ટેકેદાર ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા હાલ ભાજપ 2 બેઠકો પર કબ્જો કરી શકે તેવા અણસાર છે.
રાજ્યમાં સત્તા મેળવી શકાશે
સિંધિયાની સાથે 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસને ઝટકો આપ્યો હોવાથી પાતળી બહુમતિવાળી કમલનાથ સરકાર અત્યંત મુશ્કેલીમાં મુકાઇ છે. હવે કોઈ ચમત્કાર જ કમલનાથની સરકાર બચાવી શકે તેમ છે, એવામાં સિંધિયાના કારણે રાજ્યમાં ફરી 15 મહિના બાદ ભાજપની સરકાર બની શકે છે. કમલનાથની જે સરકાર ડગી રહી છે તેને બનાવવા માટે સિંધિયાએ પણ ખુબ મોટુ યોગદાન આપ્યું હતું. 2018ની ચૂંટણીમાં સિંધિયાએ કોંગ્રેસ માટે 110 સભાઓ સંબોધી હતી અને 12 રોડ શો કર્યા હતા. જ્યારે કમલનાથે માત્ર 68 ચૂંટણી સભાઓ જ સંબોધિત કરી હતી. તો ભાજપ તરફથી શિવરાજસિંહ ચૌહાણે એકલા 200થી વધુ સભાઓ કરી હતી. હવે સિંધિયા અને શિવરાજસિંહ એકી સાથે આવશે તો રાજ્યમાં ભાજપનો જનાધાર વધારવામાં મદદ મળી રહેશે.
બિહાર અને બંગાળમાં મદદ
સિંધિયાના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસના અનેક અસંતુષ્ટો ભાજપમાં જોડાઈ શકે છે. એવામાં ભાજપને આવનાર બિહાર અને બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મદદ મળી રહેશે. સિંધિયા ભાજપમાં આવતા ભાજપ દેશમાં કોંગ્રેસ નબળી પડી રહી છે તેવો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરશે. સિંધિયાના બહાને ભાજપ ગાંધી પરિવારને પણ ઘેરવાનો પ્રયાસ કરશે. આમ ભાજપ માટે સિંધિયા ફાયદાનો સોદો સાબિત થઈ શકે તેમ છે.