જૂનાગઢના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામમાં ગ્રામપંચાયતના સરપંચ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ફરિયાદ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ગટર રસ્તા પેવર બ્લોક બનાવવાના કામોમાં કુલ અંદાજે રૂ. 65 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠી છે. પરંતુ તંત્ર દ્વારા હજુ તપાસ કરવાના આશ્વાસન આપવામાં આવી રહ્યા છે.
પ્રેમપરાથી રામપરા સુધીનો બે કી.મી.ના રસ્તાના કામો મનરેગા યોજનામાં કરવાના હતા પરંતુ JCB અને ટ્રેક્ટર મારફતે કરવામાં આવ્યા છે. રામપરામાં ગટર બનાવવામાં આવી અને પેમેન્ટ પણ ચૂકવી દેવાયુ પરંતુ ગટર તો છે જ નહીં. ગ્રામપંચાયતને રજૂઆત કરતા પણ સંતોષકારક જવાબ ગ્રામજનોને મળતો નથી.
મહત્વની વાત તો એ છે કે મનરેગા હેઠળ જોબકાર્ડ પણ આપવામાં આવ્યા છે પરંતુ તે ખોટા હોવાનું બહાર આવ્યું છે. જે મહિલાને પગ નથી તેવી મહિલાના નામે જોબકાર્ડ પણ ઈસ્યુ કરી દેવાયુ અને તેમના ખાતામાં 942 રૂપિયા પણ જમા થઈ ગયા.
તો એક યુવક સરકારી નોકરી કરે છે તેના નામથી પણ જોબકાર્ડ ઈસ્યૂ કરવામાં આવ્યુ છે. આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા તેઓએ ઉચ્ચકક્ષાએ ફરિયાદની જાણ કરી તપાસના આદેશ આપી દેવાયા હોવાનું જણાવ્યું હતું.
આમ સરકાર દ્વાર ગરીબોને રોજગારી મળી રહે તે માટે મનરેગાની યોજના બનાવવામાં આવી છે ત્યારે કેટલાંક લેભાગુ તત્વો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. તો ગ્રામપંચાયત દ્વારા પણ આ મામલે મૌન સેવાઈ રહ્યું છે.