ગઈકાલે મંત્રી અરવિંદ રૈયાણી અને ઇન્દ્રભારતી બાપુની મુલાકાત બાદ આજે મોરારી બાપુએ જંત્રાખડી ગામે જઈ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના સમાધિ પર પ્રાર્થના કરી હતી
જંત્રાખડી દુષ્કર્મ બાદ હત્યા કેસ
સુપ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ પહોંચ્યા કોડીનાર
જંત્રાખડી ગામ જઈ પીડિત પરિવારને મળી એક લાખ રૂપિયા સહાય આપી
થોડા દિવસ પહેલા જ ગીરના કોડીનારના જંત્રાખડી ગામે 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની નિર્મમ હત્યાની ઘટના બની હતી. મૃતક દીકરી સાધુ સમાજમાંથી હોવાથી ગુજરાત સહિત દેશભરના સાધુઓ આ ઘટનાને વખોડી રહ્યા છે. ત્યારે કથાકાર મોરારી બાપુ આજે જંત્રાખડી પહોંચ્યા હતા જ્યાં પીડિત પરિવારની મુલાકાત કરી બાપુએ તેમને સાંત્વના પાઠવી હતી મોરારીબાપુ બદ્રી નાથ થી કથા પૂર્ણ કરી સીધા જ દીવ એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી કાર મારફતે જંત્રાખડી પહોંચ્યા હતા.
મોરારી બાપુએ બાળકીના સમાધિ સ્થળે જઈ પ્રાર્થના કરી
મોરારી બાપુએ સમગ્ર ઘટના ને દુઃખદ ગણાવી વખોડી કાઢી હતી પરિજનની મુલાકાત બાદ બાપુ સીધા જ બાળકીના સમાધિ સ્થળ પહોંચ્યા હતા જ્યા તેમને બાળકીની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી મોરારી બાપુએ ચોરાની અંદર રામ ધૂન બોલાવી હતી અને મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આરોપીને કડક સજા કરવામા આવે.
ગઈકાલે રાજયમંત્રી અરવિંદ રૈયાણીએ મુલાકાત કરી હતી
રાજ્ય સરકારના વાહનવ્યવહાર રાજયમંત્રી અરવિંદ રૈયાણીએ ગઈકાલે જંત્રાખડી ગામે આવીને દુષ્કર્મ બાદ મર્ડરનો ભોગ બનેલી 8 વર્ષીય બાળાનાં પરિવારને મળી સાંત્વના આપીને બાળાની સમાધિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે 'આ અઘટિત કૃત્ય કરનાર નરાધમને ફાંસીને માંચડે લટકાવવા સુધી રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર શાંત નહીં રહે.સરકાર એવો દાખલો બેસારશે કે જેથી સમગ્ર દેશમાં કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય કરવાનો વિચાર પણ ન કરી શકે.'
ઇન્દ્રભારતી બાપુ, (મહંત, જાગીર ભારતી આશ્રમ-જૂનાગઢ)એ કરી હતી મુલાકાત
સાધુ સમાજના અગ્રણી અને ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ આવ્યા હતા.દશનામ સાધુ સમાજ વતી તેઓએ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી આવું અધમ કૃત્ય કરનારને ફાંસીને માંચડે લટકાવવાની માંગ સરકાર સમક્ષ રાખી હતી.સાથે જણાવ્યું હતું કે, 'જે દેશમાં નારીનું સન્માન ન જળવાય તે દેશમાં ધર્મ અને રાષ્ટ્રનું ઉત્થાન થતું નથી.' ફૂલ જેવી બાળકી પર દુષ્કૃત્ય કરી મોત નિપજાવનાર નરાધમને કડકમાં કડક સજા થવી જ જોઈએ.ત્યાં સુધી સાધુ સમાજ શાંત નહિ બેસે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી