જામનગર મહાનગર પાલિકામાં કચરા ઉપાડવાની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ત્રણ વર્ષના કરારથી જે કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. તેની સાથે સાથે ઓન ડીમાંડ જે ટ્રેક્ટર લેવામાં આવે છે. તેને પણ કંપનીને આપવામાં આવતું બીલ ચૂકવી દેવાયું છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં આ જ રીતે મહાપાલિકાએ દર વર્ષે દસ-બાર લાખનું આર્થિક કૌભાંડ કર્યું હોવાનો વિરોધ પક્ષે આક્ષેપ લગાવ્યો છે અને લડત આપવાની તૈયારી દર્શાવી છે.
શહેરને ગંદકી મુક્ત કરતા અને સ્વચ્છ રાખવા માટે જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીગ કમિટીએ ઠરાવ કર્યો હતો. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ખાનગી કંપનીને ટેન્ડર પ્રક્રિયાથી કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ અપાયો હતો. જેમાં પ્રતિ ટન કચરા ઉપાડ પેટે રૂપિયા ૧૦૫૦ નક્કી કરવામાં આવ્યા હતા. બીજી તરફ જરૂરિયાત મુજબ અન્ય પાર્ટીઓને પણ જોડી ટ્રેક્ટર દીઠ રૂપિયા ૫૦૦ નક્કી કરવામાં આવ્યા હતા. નિયમ મુજબ આ રકમમાં દર વર્ષે ૧૦ ટકા વધારો નક્કી કરાયો અને હાલ કોન્ટ્રાકટરનો ભાવ ૧૩૫૦ પ્રતિ ટન છે. એ જ રીતે એક ટ્રેક્ટરના ૧૩૫૦ ચુકવવામાં આવે છે. કોન્ટ્રાકટર અને ટ્રેક્ટરના એક જ ભાવ મંજુર કરી કૌભાડ આચરવામાં આવ્યું છે. એમ વિપક્ષ આક્ષેપ લગાવી રહી છે. ટ્રેક્ટરના ૬૫૦ રૂપિયાની જગ્યાએ ૧૩૫૦ ચૂકવી તંત્રએ દર વર્ષે દસથી બાર લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે એવા આક્ષેપ સાથે વિરોધ પક્ષે આકરો મિજાજ અખત્યાર કર્યો છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ ૨૦૧૬થી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી શરુ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૫માં ઓન લાઈન ટેન્ડર રજુ થયું. ૨૦૧૬માં કંપનીએ કામગીરી શરુ કરી. જે તે સમયે જરૂરિયાત મુજબ ટ્રેક્ટરના ભાવ ૫૦૦ નક્કી થયા હતા, પરંતુ પાંચ દિવસમાં જ આ ભાવમાં સ્ટેન્ડિંગ કમિટીએ સુધારો કરી કોન્ટ્રાકટરના ભાવ એટલે કે પ્રતિ ટ્રેક્ટર રૂપિયા ૧૦૫૦ નક્કી કરી દેવામાં આવ્યો હતો. ટ્રેક્ટરના ફેરાના જે બીલ ચૂકવાયા છે તેના ઓડીટ પણ થયેલ છે. એમ મહાપાલિકાએ બચાવ કર્યો છે.
આમ તો દરેક વિકાસ કાર્યોની કામગીરીને લઈને જામનગર મહાનગર પાલિકા હમેશા વિવાદમાં રહેતી આવી છે. ત્યારે ગાર્બેજ કલેકશનમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ નવો નથી. ડોર ટુ ડોર કચરા ઉપાડ માટે સ્ટેન્ડિંગ કમિટીએ જ નક્કી કરેલ ભાવ માત્ર પાંચ જ દિવસમાં કેમ બદલાઈ ગયા? શું કોઈ રાજકીય માથાને કમાવી દેવા આવું કરાયું કે બંધ બારણે ભાગ બટાઈ કરી લેવામાં આવી? બંધ બારણે જે થયું તે વાસ્તવિકતા છે. હવે વિરોધ પક્ષ લડી લેવાના મૂળમાં છે ત્યારે આગામી દિવસોમાં ઘીના ઠામમાં ઘી પડી જશે કે આ મુદ્દે વિપક્ષ સાચે જ પોતાની ફરજ બજાવશે? એ સમય કહેશે.