આઝાદીની લડાઈમાં પંચમહાલનો જાંબુઘોડા તાલુકાનું અનોખું મહત્વ છે. ખાસ કરીને અહીયા આવેલ ઢોબો ડુંગર પર અંગ્રેજોની ગોળી પણ પાણી થઈ જતી તેવુ લોકોનું કહેવું છે.
આઝાદીની લડાઈનો સાક્ષી છે જાંબુઘોડા તાલુકો
વડેક ગામના ડુંગર પર અંગ્રેજોની ગોળી પણ પાણી થઈ જતી
ડુંગર પર બેઠક કરીને અંગ્રેજો સામે રણનીતી ઘડવામાં આવતી
આઝાદીની લડાઈમાં પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના અનેક ગામના લોકોએ યોગદાન આપ્યું છે, સાથેજ દેશ માટે બલિદાન આપ્યા છે.ત્યારે જાંબુઘોડાના તાલુકાના કયા ગામનો છે આઝાદી માટે સુવર્ણ ઈતિહાસ રહ્યું છે તેના વિશે આજે અમે તમને જણાવીશું.
સુવર્ણ અક્ષરે લખાયો જાંબુઘોડાનો ઈતિહાસ
ભારત દેશમાં અંગ્રેજોએ અનેક વર્ષો સુધી શાસન કર્યું...અંગ્રેજીઓની ગુલામીમાંથી દેશને 1947માં આઝાદી મળી. પરંતુ તે પહેલા આ ગોરાઓએ દેશવાસીઓ પર અનેક અત્યાચારો કર્યો. દેશના અનેક લોકોએ તેમની સામે લડત આપી. ગુજરાતના જાંબુઘોડાનો ઈતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. એવું કહેવાય છે કે અંગ્રેજો જાંબુઘોડામાં રહેતા હતા, ત્યારે તેમની સામે ગુજરાતના સપૂતો જોરિયા પરમેશ્વર, રૂપસિંહ નાયક, ગલાલિયા નાયક લડત આપતા હતા.
ઢોર ડુંગર અંગ્રેજોના યુદ્ધોનો સાક્ષી
જાંબુઘોડાના વડેક ગામ નજીક આવેલો ડુંગર અંગ્રેજો સામેના યુદ્ધનો સાક્ષી છે. જે ડુંગરને ઢોર ડુબો ડુંગર પણ કહેવામાં આવે છે. અહીયા સ્વાતંત્ર્ય સેનાનીએ બેઠકો કરી અંગ્રેજો સામે લડવાની રણનીતિ બનાવી હતી. કહેવાય છે કે જોરિયા પરમેશ્વરને આ ડુંગરમાંથી જ એવું સત મળ્યું હતું કે તે અંગ્રેજો ગોળીબાર કરે તો તેમની ગોળી પાણી થઈ જતી. અને પોતે તીર મારતા તો તે અંગ્રેજોને વિંધી નાંખતું. આ વિસ્તારમાં પહેલા જંગલ હતું .જો કે હાલ અહીં ખેતી થઈ રહી છે.
1838 થી 1868 સુધી લડાઈ લડી
જાંબુઘોડા તાલુકાના અનેક ગામોએ 1838થી 1868 સુધી અંગ્રેજો સામે લડાઈ લડી હતી...જેમાં નાયક, સઠવા, બારિયા સમાજના અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા હતા. ખાસ કરીને જાંબુઘોડાનો કિલ્લો પણ અનેક ઈતિહાસ પોતાનામાં દબાવીને બેઠો છે...આ કિલ્લામાં જ 1868માં અંગ્રેજોએ જોરિયા પરમેશ્વર, રૂપસિંહ નાયક અને ગલાલિયા નાયકને ફાંસી આપી હતી. જ્યારે ભયજી બારિયાને કારાવાસની સજા આપી હતી.
બધા ગામ હાલ વિકાસથી વંચિત
આઝાદીની લડાઈમાં પોતાના પૂર્વજોના સુવર્ણ ઈતિહાસ સાથેના આ ગામ વિકાસથી વંચિત રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અહીં સ્મારકો, નામાંકરણની વાતો કરવામાં આવી હતી...જેમાંથી કેટલીક પૂર્ણ થઈ છે...પરંતુ સરકારે કરેલા કેટલાક વાયદાએ વાયદા જ બની રહ્યા છે.
ગુજરાતીઓનું આઝાદીમાં મોટું બલિદાન
ઉલ્લેખનીય છે કે આઝાદીની લડાઈમાં ગુજરાતીઓએ ખુબ જ મોટા બલિદાન આપ્યા છે...અને ત્યારે દેશ આઝાદીનું પર્વ શાન સાથે મનાવી રહ્યું છે...દેશને આઝાદ કરવા માટે આપણા પૂર્વજોએ આપેલા બલિદાનને ક્યારેય ન ભૂલવા જોઈએ. સરકારે પણ તેમના સ્મારક બનાવી નવી પેઢીને દેશ માટે બલિદાન આપનારા લડવૈયાઓથી માહિતગાર કરવા જોઈએ.