ટીમ ઇન્ડિયા ઘરઆંગણે હવે ઓસ્ટ્રેલિયાની યજમાની કરવા માટે તૈયાર છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ ૯ ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ ૯ ફેબ્રુઆરીથી નાગપુરમાં
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં દિનેશ કાર્તિક ‘ટેસ્ટ ડેબ્યૂ’ માટે તૈયાર!
બેટ્સમેન દિનેશ કાર્તિકના એક ટ્વીટથી ચર્ચા
ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી શરૂ થતાં પહેલાં અનુભવી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકના એક ટ્વીટથી સનસનાટી મચી ગઈ છે. ૩૭ વર્ષીય કાર્તિકે ટ્વીટ કરતાં લખ્યું છે, ''મેં ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે મારું ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. હવે ફરીથી એ જવા થઈ રહ્યું છે.'' કાર્તિકના ટ્વીટ બાદ ક્રિકેટપ્રેમીઓએ એવો અંદાજ લગાવવો શરૂ કરી દીધો હતો કે તે શ્રેયસ ઐયરના સ્થાને ટીમમાં સામેલ થઈ રહ્યો છે, પરંતુ હકીકત એ છે કે કાર્તિક આ ટેસ્ટ શ્રેણી દરમિયાન કોમેન્ટ્રી કરતો નજરે પડવાનો છે. આ પહેલાં કાર્તિકે ક્યારેય ટેસ્ટ ફોર્મેટમાં કોમેન્ટ્રી કરી નથી.
Made my Test debut in India against Australia...
Well...It's happening again! ☺️ #Excited#INDvAUS
યુવા વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને તાજેતરમાં જ વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી. રમતજગતના દિગ્ગજો અને ચાહકોએ ઈશાનની જોરદાર પ્રશંસા કરી હતી. ઈશાને આ સિદ્ધિ ગત ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની વન ડે મેચમાં હાંસલ કરી હતી, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે એ બેવડી સદી બાદ ઈશાનના બેટને કોઈની નજર લાગી ગઈ છે અથવા તો તેના બેટની આગ બુઝાઈ ગઈ છે. એ બેવડી સદી બાદ ઈશાન એક અર્ધસદી પણ ફટકારી શક્યો નથી. બેવડી સદી ફટકાર્યા બાદ ઈશાન કુલ નવ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે, જેમાં કુલ ૧૦૦ રન પણ બનાવી શક્યો નથી.
૧૩૧ બોલમાં ૨૧૦ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી
ઈશાને બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન એક જ વન ડે રમવાની તક મળી હતી. તેણે ચટગાંવ વન ડેમાં ૧૩૧ બોલમાં ૨૧૦ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. ઈશાને એ ઇનિંગ્સમાં ૧૦ છગ્ગા અને ૨૪ ચોગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ ૧૬૦.૩૦નો રહ્યો હતો. જોકે એ ઇનિંગ્સ બાદ ઈશાન કિશનને શ્રીલંકા સામે વન ડે શ્રેણીમાં કોઈ તક મળી નહીં. ચાહકોને પણ આ વાત વિચિત્ર લાગી હતી, પરંતુ શ્રીલંકા સામે ટી-૨૦ શ્રેણીમાં ઈશાનને તક મળી, જોકે તેનું બેટ ખામોશ જ રહ્યું. ત્યાર પછી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ વન ડે મેચની શ્રેણીમાં ઈશાનને તક મળી, પરંતુ અહીં પણ ઈશાન કંગાળ ફોર્મ સામે ઝઝૂમતો રહ્યો.
બેવડી સદી ફટકાર્યા બાદ ઈશાને ત્રણ વન ડે અને છ ટી-૨૦ મેચ રમી, જેમાં તેણે ૧૧.૭૫ની કંગાળ સરેરાશથી કુલ ૯૪ રન જ બનાવ્યા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૩૭ રનનો રહ્યો. આ સ્થિતિમાં ઈશાન સામે હવે ટીમ ઇન્ડિયામાંથી બહાર થવાનું જોખમ સર્જાયું છે. હાલ ઈશાનને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની બે મેચ માટે પસંદ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે તા. ૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ઈશાનને ટીમમાં તક મળશે ખરી?