ચીન અને પાકિસ્તાનના સતત નકારાત્મક પ્રયાસોનો સામનો કરી રહેલ ભારતીય સેનાને વધુ એક શક્તિશાળી હથિયાર મળી ગયું છે.
સુખોઈ 30થી દાગી શકાય છે મિસાઈલ
રુદ્રમ એ નેક્સ્ટ જનરેશન મિસાઈલ છે
ભારતની સ્વદેશી બનાવટની મિસાઈલ છે રુદ્રમ
બેંગલુરુમાં એરો ઇન્ડિયા શો દરમિયાન ભારતની પહેલી નેક્સ્ટ જનરેશન એન્ટી-રેડિયેશન મિસાઇલ રૂદ્રમ -1 જોવા મળી હતી. આ મિસાઇલની વિશેષતા એ છે કે તે 200 કિ.મી.ના અંતર સુધી દુશ્મનના રડાર સહિત તેના કોઈપણ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. આ મિસાઇલ ભારતીય વાયુસેનાની મુખ્ય કારોડરજ્જુ સમાન એરક્રાફ્ટ સુખોઇ -30 MKI થી છોડી શકાય છે. વિશેષ વાત એ છે કે આ મિસાઇલ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા તૈયાર કરવામાં આવી છે.
મિસાઈલની ગતિ સુપરસોનિક છે
આ મિસાઇલની ગતિ અવાજની ગતિ કરતાં પણ બમણી(સુપરસોનિક) છે. આ મિસાઇલ હવામાં ભારતીય લડાકુ વિમાનોની ફાયરપાવર વધારશે અને વ્યૂહાત્મક ક્ષમતામાં પણ વધારો કરશે.
આનાથી ભારતીય વાયુસેનાને દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમની અંદર જઇને તેનો નાશ કરવાની ક્ષમતા મળી છે. ભારતમાં બનેલી આ પહેલી મિસાઇલ છે, જેને કોઈપણ ઊંચાઇથી દાગી શકાય છે. આ મિસાઇલો કોઈપણ પ્રકારના સંકેત અને રેડીએશનને પકડી શકે છે. વળી, તેને તેના રડારમાં લાવીને તે મિસાઇલનો નાશ કરી શકે છે.
રેડિયેશન મિસાઇલો દુશ્મનની સંચાર પ્રણાલીને નષ્ટ કરવા માટે રચાયેલ મિસાઇલો છે. તેનો ઉપયોગ દુશ્મનના રડાર, જામર અને વાતચીત માટે વપરાયેલા રેડિયો સામે પણ થઈ શકે છે. આ મિસાઇલોમાં સેન્સર છે જે રેડિયેશનનો સ્ત્રોત શોધી કાઢે છે. આ મિસાઈલ તેના લક્ષ્યાંકની પાસે જઈને વિસ્ફોટ પામે છે જેના આઘાતથી લક્ષ્ય નષ્ટ થઈ જાય છે.
સુખોઈ 30 MKI થી ફાયર કરી શકાય છે
રુદ્રમ મિસાઇલ હાલમાં સુખોઈ 30 MKI ફાઇટર એરક્રાફ્ટ સાથે વાપરવા માટે બનાવવામાં આવી છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં પણ તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ મિરાજ 2000, જગુઆર, એચએલ તેજસ અને એચએએલ તેજસ માર્ક 2 સાથે પણ થઈ શકે છે.