જીડીપી સહિત અન્ય આર્થિક આંકડાઓના કારણે ચારેય તરફથી નરેન્દ્ર મોદી સરકાર ઘેરાયેલી છે. ત્યારે મોદી સરકાર માટે વધુ એક નવી મુશ્કેલી ઉભી થઇ ગઇ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) ની રિપોર્ટ અનુસાર દેશમાં બેરોજગારીનો દર 3 વર્ષના ઉચ્ચ સ્તર પહોંચી ગયો છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકો રોજગારીની શોધ કરી રહ્યા છે પરંતુ તેમને નિરાશા મળી રહી છે.
ઓગસ્ટમાં બેરોજગારીનો દર 8.4 ટકા
રિપોર્ટ મુજબ ઓગસ્ટમાં બેરોજગારીનો દર 8.4 ટકા રહ્યો, જે ત્રણ વર્ષના ઉચ્ચ સ્તરે છે. આ પહેલા સપ્ટેમ્બર 2016માં બેરોજગારીનો આંકડો આ સ્તરે પહોંચ્યો હતો. રિપોર્ટમાં ઓગસ્ટના સાપ્તાલિક બેરોજગારી દરના આંકડાઓ પણ બતાવાયા છે. આ મુજબ મહીનાના દરેક સપ્તાહમાં બેરોજગારીનો દર 8થી 9 ટકા રહ્યો છે.
એક મહીના પહેલા જુલાઇમાં સાપ્તાહિક બેરોજગારી દર 7થી 8 ટકા વચ્ચે રહ્યો હતો. આ હિસાબે ઓગસ્ટ મહીનામાં દરેક સપ્તાહે બેરોજગારી 1 ટકા વધ્યો છે. રિપોર્ટમાં આગળ બતાવાયું છે કે ઓગસ્ટ મહીનામાં શહેરી બેરોજગારી દર 9.6 ટકા હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો આંકડો 7.8 ટકા પર પહોંચ્યો હતો.
રોજગારીની શું છે સ્થિતિ
ઓગસ્ટ 2019માં ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ દરમિયાન રોજગારમાં વૃદ્ધી જોવા મળી છે અને તે 2.9 ટકા રહી. જ્યારે શહેરી વિસ્તારોમાં 0.2 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ઓગસ્ટમાં શ્રમ ભાગીદારી દરમાં નહીવત વધારો થયો છે. આ મહીનામાં શ્રમ ભાગીદારી દર 43.35 ટકા રહ્યો. જે ઓક્ટોબર 2018માં 42.46 ટકા પર હતો.
રિપોર્ટ કહે છે કે નોટબંધી અને જીએસટીના ઝટકાથી બહાર આવવા માટે શ્રમ ભાગીદારી દર વધી રહ્યો છે, પરંતુ તે રોજગાર દરના આંકડા સાથે મેળ નથી ખાતો. રિપોર્ટ મુજબ લોકો રોજગારની તપાસ તો કરી રહ્યા છે પરંતુ એમને નિરાશા હાથ લાગી રહી છે. આ સંકેત ખતરાની ઘંટડી છે.
આર્થિક મંદીને કારણે જઇ રહી છે નોકરીઓ
દેશમાં આર્થિક મંદીનો માહોલ છે. તેથી દરેક સેક્ટરમાં છટણીના સમાચાર મળી રહ્યા છે. ગત કેટલાક મહીનામાં દેશના ઓટોમોબાઇલ સેક્ટરમાં 2 લાખથી વધારે નોકરીઓ ચાલી ગઇ છે. આ પ્રકારે ટેક્સટાઇલ સેક્ટરમાં, એફએમસીજી સેક્ટરમાં અને રિયલ સેક્ટરમાં પણ નોકરીઓ પર સંકટ ઘેરાયું છે.