માનવ સેવાના ભાવ સાથે ભારત દ્વારા જહાજ મારફતે શ્રીલંકાના લોકો માટે ચોખા, જીવનરક્ષક દવાઓ, દૂધ પાવડર સહિતની વસ્તુઓ પહોંચાડવામાં આવી છે.
વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ટ્વિટ કરી માન્યો આભાર
જહાજમાં અનાજ, દૂધ, પાવડર અને દવાનો સમાવેશ
ભારતે શ્રીલંકાને અત્યાર સુધીમાં 45 અબજ ડોલરની સહાય આપી
સંકટગ્રસ્ત શ્રીલંકાના લોકો માટે ચોખા, જીવનરક્ષક દવાઓ, દૂધ પાવડર જેવી આવશ્યક રાહત પુરવઠો વહન કરતું એક ભારતીય જહાજ રવિવારે કોલંબો પહોંચ્યું હતું અને આ તમામ સામાન ત્યાંની સરકારને સોંપવામાં આવ્યો હતો.
શ્રીલંકાને આટલા ટન ચોખા અને દૂધ મોકલવામાં આવ્યું
ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલેએ શ્રીલંકાના વિદેશ મંત્રી જી.એલ.પીરીઝને માલસામાન સોંપ્યો હતો. જેમાં 9000 મેટ્રિક ટન ચોખા, 50 મેટ્રિક ટન મિલ્ક પાવડર અને 25 મેટ્રિક ટનથી વધુ દવાઓ અને અન્ય મેડિકલ સપ્લાયનો સમાવેશ થાય છે.
શ્રીલંકાના વડા પ્રધાને ટ્વિટ કર્યું
વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ટ્વિટ કર્યું, 'શ્રીલંકાને આજે ભારત તરફથી દૂધ પાવડર, ચોખા અને દવાઓના રૂપમાં બે અબજ રૂપિયાની માનવતાવાદી સહાય મળી છે. આ સહાય માટે અમે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન અને ભારતના લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.તેમ જણાવ્યુ હતું. વધુમાં હું શ્રીલંકામાં ભારતીયો અને શ્રીલંકામાં CWC લીડર એસ થોન્ડમન દ્વારા આપવામાં આવેલી સહાયની પણ પ્રશંસા કરું છું. 40,000 મેટ્રિક ટન ચોખા, 500 મેટ્રિક ટન દૂધ પાવડર અને દવાઓના વચન હેઠળ તમિલનાડુ સરકાર દ્વારા આ પ્રથમ કન્સાઇનમેન્ટ કરવામાં આવ્યું છે, એક સરકારી રિલીઝમાં જણાવાયું છે. શ્રીલંકામાં ભારતના હાઈ કમિશને ટ્વિટ કર્યું, 'ભારતના લોકો તરફથી શ્રીલંકાના લોકોની સાર સંભાળનો સંદેશ અપાયો છે.
અત્યાર સુધીમાં ભારતે 45 અરબ ડોલરની કરી છે મદદ
પ્રો. જીએલ પીરીઝે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે , 'ભારતે આટલા મોટા પાયા પર આ પહેલા બીજે ક્યાંય મદદ મોકલી નથી. તેઓ અમને વધુ મદદ કરશે જેના માટે અમે આભારી છીએ. તેમણે કહ્યું કે ભારતે શ્રીલંકાને અત્યાર સુધીમાં 45 અબજ ડોલરની સહાય આપી છે.આપને જણાવી દઇએ કે, સ્ટાલિને બુધવારે ચેન્નાઈમાં આ રાહત માલ મોકલ્યો હતો.