ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે(શુક્રવાર) વન-ડે મેચ રમાશે. પ્રથમ મેચમાં ભારતની કારમી હાર થઈ હતી. આથી ભારત સીરિઝ જીવંત રાખવા માટે મેદાનમાં ઉતરશે. કરો યા મરોની રણનીતિ સાથે ભારત મેદાનમાં ઉતરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રિકેટ મેચમાં ઉપસ્થિત રહેશે
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડે મેચની શ્રેણી પૈકીની બીજી મેચ રમાશે. બંને ટીમ બુધવારે રાજકોટ પહોંચી હતી. આ મેચમાં જાધવ, સૈની અને ચહલને તક મળી શકે છે. ભારત છેલ્લી ચાર મેચથી ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે જીત્યું નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રિકેટ મેચમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી આજે સાંજે 7 વાગ્યે ખંઢેરી સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવશે. રાજકોટમાં રમાનારી વન-ડેને લઈ સ્ટેડિયમ સહિત શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી કેમેરા, માચીસ, સિગારેટ, પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ મેચને લઇને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રિકેટ મેચમાં ઉપસ્થિત રહેશે. સાંજે 7 વાગ્યે તેઓ ગ્રાઉન્ડમાં હાજરી આપશે. 450 પોલીસ કર્મીઓ અને 250 જેટલા પ્રાઇવેટ સિક્યોરિટી હાજર રહેશે. DySP, PI, PSI સહિતનો પોલીસ કાફલો કરશે બંદોબસ્ત કરશે. 2 પોલીસ ચોકી મેચ દરમિયાન કાર્યરત રહેશે. મેચમાં અંદાજિત 30 હજાર દર્શકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેશે.
રાજકોટમાં ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે રાજકોટથી જામનગર તરફ જતા મોટા વાહનો માટે મોરબી રોડ અને જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવીયા સર્કલ થઈ રોડ ડાયવર્ટ કરવામાં આવશે.