ભરૂચ, અમદાવાદ, નવસારી, જામનગર, અને વાપીમાં આગના બનાવ, મોટી ભાગની જગ્યાએ ફટાકડાને કારણે આગ લાગી હોવાનું અનુમાન
દિવાળી ટાણે આગની ઘટનાઓ વધી
ભરૂચ, અમદાવાદ, નવસારી, જામનગર, અને વાપીમાં આગની ઘટના
આગ લાગવાના કારણ અકબંધ પણ ફટાકડાને કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોનું તારણ
ભરૂચના અંકલેશ્વર GIDC નજીક લાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફિકોમ ચોકડી નજીક લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. ફટાકડાના તણખાના કારણે ગોડાઉનમાં આગ ભભૂકી હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે હાલ 2 ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અચાનક આગ પ્રસરતા જય કેમિકલ નજીક પ્લાસ્ટિકનું ગોડાઉન સળગી ઉઠ્યું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતાં તાબડતોબ પહોંચી આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો પણ પ્લાસ્ટીકનું ગોડાઉન હોવાથી આગ વધુ પ્રસરી ગઈ હતી.
નવસારી શહેરના જલાલપોર વિસ્તારમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના બની છે જો કે આ આગ ફટાકડાને કારણે લાગી ન હોતી. પુનેશ્વર વિસ્તારમાં ટ્રાન્સફોર્મર સળગતા વીજ પુરવઠો ખોરવાયો હતો જેથી ઘેલખડી, જલાલપોર સ્ટેશન રોડ પર અંધારપટ છવાયો હતો. ઈલેક્ટ્રિક લાઇન પર ભયાવહ આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ વિસ્તારનો વીજ પુરવઠો થોડા સમય માટે બંધ કરી આગ પર કાબૂ મેળવાયો હતો. હાલ અસરગ્રસ્ત વિસ્તારમાં ફરીથી લાઈન ચાલુ થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે.
જામનગરમાં આવેલુ અવધ વેફરના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના બની છે. અચાનક ગોડાઉનમાં આગ લાગતા દોડઘામ મચી ગઈ હતી. ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ છે..આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમેને થતા ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળ્વયો હતો
વાપીના બલીઠામાં ભંગારના ગોડાઉનમા આગનો બનાવ બન્યો હતો. ભીષણ આગ લાગવાથી આસપાસના વિસ્તારોમા દોડધામ મચી હતી, ત્રણ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે આગનો બનાવ દિવસે બન્યો હતો.