વન વિભાગ તેમજ સેવા સંસ્થાઓના સહયોગ અને કાળજીથી કબૂતર સહિતનાં અન્ય પક્ષી સાજા થઈને હવે ખુલ્લા આકાશમાં વિહરવા તૈયાર
ઉત્તરાયણમાં ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર બાદ આકાશમાં મુક્ત કરાયાં
હજુ પણ 500થી વધુ પક્ષીની સારવાર ચાલુ
કરુણા અભિયાનમાં આ વર્ષે લગભગ 1400 સ્વયંસેવક જોડાયા હતા
આ વર્ષની ઉત્તરાયણ વખતે પતંગની દોરીમાં ફસાઈને ઘાયલ થયેલ કબૂતરો સહિત ઘણાં પક્ષી સારવાર હેઠળ હતાં. જેમાં વન વિભાગ તેમજ સેવા સંસ્થાઓના સહયોગ અને કાળજીથી કબૂતર સહિતનાં અન્ય પક્ષી સાજા થઈને હવે ખુલ્લા આકાશમાં વિહરવા તૈયાર છે. જોકે હજુ પણ 500થી વધુ પક્ષીઓની સારવાર ચાલી રહી છે.
ઘાતક પતંગની દોરીના સંપર્કમાં આવ્યા બાદ પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં. તેઓને સરકારી કરુણા અભિયાન હેઠળ સારવાર માટે વન વિભાગમાં લાવવામાં આવ્યાં હતાં. પશુ ચિકિત્સકો દ્વારા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. આ દરેક પક્ષીઓ સંપૂર્ણપણે સાજા થયા બાદ તેમના કુદરતી રહેઠાણમાં જવા અર્થે તેમને છોડવામાં આવ્યાં હતાં.
ઇજાગ્રસ્તોમાં 90 ટકા કબૂતર
આ અંગે વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઉત્તરાયણના તહેવારમાં 2000થી વધુ પક્ષી ઘાયલ થયા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. ઘાયલ પક્ષીઓની યાદીમાં 90 ટકા પક્ષી કબૂતર છે. તબીબોની ટીમે ફોરેસ્ટ વિભાગની અંદરની હોસ્પિટલમાં તેમની સારવાર કરી હતી.
1400 સ્વયંસેવક જોડાયા
કરુણા અભિયાનમાં આ વર્ષે લગભગ 1400 સ્વયંસેવક જોડાયા હતા. તેમના પ્રયાસોથી આ સારવાર શક્ય બની છે. આથી તેમને જ સાજા કબૂતરોને છોડવા માટે આમંત્રિત કરાયા છે. જેથી તેઓ પક્ષીઓને બચાવવા માટે આવતા વર્ષે પણ સક્રિય પગલાં ભરવા માટે સંવેદનશીલ બની શકે.
હજુ પણ કેટલાંક પક્ષીઓ સારવાર હેઠળ
મહત્વનું છે કે, ઘાયલ થયેલાં પક્ષીઓમાંથી હજુ પણ કેટલાંક સારવાર હેઠળ છે તે સિવાયનાં બાકીનાંને તેમનાં કુદરતી રહેઠાણમાં છોડવામાં આવી રહ્યાં છે. ઉત્તરાયણના તહેવારમાં લોકોની મજા સાથે પક્ષીઓ માટે આ તહેવાર સજારૂપ બનતો હોય છે, કારણ કે પતંગની પાકી દોરીને કારણે આકાશમાં ઊડતાં પક્ષીઓ દોરીને કારણે ઈજાગ્રસ્ત થતાં હોય છે.
ઉત્તરાયણના તહેવારમાં આવાં ઘાયલ પક્ષીઓની સારવાર અને એમને દોરીમાંથી કાઢીને રેસ્ક્યૂ કરવા માટે ફાયર બ્રિગેડ, અનેક ખાનગી એનજીઓ અને સરકારી હેલ્પલાઇન કામ કરે છે. પતંગ કપાયા પછી પણ ઝાડ ઉપર પડેલી દોરીઓને કારણે પક્ષી તેમાં ફસાઇ જતાં હોય છે અને બાદમાં તે નીકળી શકતાં નથી.