શહેરમાં લૂંટેરી દુલહનના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે આવી જ એક ઘટના શહેરના મણિનગર વિસ્તારમાં બનવા પામી છે. ૩પ વર્ષીય એક યુવાન સાથે લગ્નના નામે એક લાખ રૂપિયા પડાવી બે લૂંટેરી દુલહન અને ઠગ ટોળકી ફરાર થઈ જતાં છેતરિપંડીનો ભોગ બનેલા યુવકે કુલ પાંચ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શહેરના મણિનગરમાં આવેલ ઓમશાંતિનગર-કર્ણાવતી પાસે રહેતા યતીન ગજ્જરે પાંચ લોકો વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. યતીનને કોઈ છોકરી મળતી ન હતી, જેથી તેણે તે અંગે તેમની પાડોશમાં રહેતા દિનેશભાઇ મિસ્ત્રીને વાત કરતાં દિનેશે યતીનનો સંપર્ક કમલેશ ત્રિવેદી તથા વંદના ત્રિવેદી સાથે કરાવ્યો હતો. આ બન્ને પતિ-પત્નીએ યતીન સાથે વાતચીત કરીને તેનાં લગ્ન કરાવી આપવાની ખાતરી આપી હતી.
વંદનાબહેને યતીનને કેટલીક છોકરીઓ બતાવી હતી, જેમાંથી કોઈ એક છોકરી પસંદ કરીને તેની સાથે લગ્ન કરવા માટે જણાવ્યું હતુ. આ દરમિયાન મહારાષ્ટ્રના કનોડની એક યુવતી યોગિતા સાથે તેનો પરિચય કરાવવામાં આવ્યો હતો. યોગિતાનાં યતીન સાથે લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. આ લગ્ન માટે આ ટોળકીએ રૂ.૧.૩૦ લાખ રૂપિયા નક્કી કર્યા હતા, પરંતુ યતીને ચાલીસ હજાર પહેલાં અને લગ્ન બાદ ૯૦ હજાર ચેકથી મહિના પછી આપવાની વાત કરી હતી. ત્યારબાદ યોગિતા સાથે યતીને શાહપુર ખાતેના મેરેજ બ્યૂરોમાં લગ્ન કરી લીધાં હતાં.
લગ્ન કર્યા બાદ યતીન ઘરે આવતો હતો ત્યારે વંદનાબહેન યતીન પાસે પૂરા પૈસા માગ્યા હતા, જોકે યતીને ચાલીસ હજાર આપ્યા હતા અને બાકીના રૂપિયા ન આપતાં વંદનાબહેન યતીનની પત્નીને લઈ જતી રહ્યાં હતાં. વીસ દિવસ પછી વંદનાબહેન અને આનંદ ગાંધે યતીનના ઘરે મીના નામની છોકરીને લઇ ગયાં હતાં. બાકીના ૯૦ હજાર રૂપિયા યતીને વંદનાબહેનને આપ્યા હતા અને મીનાને યતીનના ઘરે મૂકીને જતાં રહ્યાં હતાં. મીનાએ યતીન પાસે અઠવાડિયું રોકાયા બાદ ફરવા જવાનું બહાનું બનાવતાં તેઓ કાંકરિયા ફરવા માટે ગયાં હતાં, જ્યાંથી મીના બાથરૂમ જવાનું કહીને બપોરના સમયે અચાનક યુવતી ભાગી જતાં અંતે યતીનને પોતે છેતરાતા દંપતિ સહિત બે લૂંટેરી દુલ્હન વિરુદ્ધમાં પોલીસ ફિરયાદ કરી છે.