મોરબી દુર્ઘટનાને આજે ચાર દિવસ વિત્યા; NDRF, SDRFના જવાનો દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું; મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા રાજ્યવ્યાપી શોક
મોરબી દુર્ઘટનાને ચાર દિવસ વિત્યા
ચોથા દિવસે પણ ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા રાજ્યવ્યાપી શોક
રવિવારની સાંજે મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થયાની દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં છે. આજે આ દુર્ઘટનાનો ચોથો દિવસ છે અને NDRF, SDRFના જવાનો દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તો બીજી તરફ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવ્યો. તો કરુણાંતિકા બાદ રાજ્યમાં શોક, રેસ્ક્યૂ, અને જનાક્રોશ જોવા મળી રહ્યો છે
NDRF, SDRFના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન
આજે આ દુર્ઘટનાનો ચોથો દિવસ છે અને NDRF, SDRFના જવાનો દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે આ રાહતબચાવ કામગીરીના કંઈક આવા દ્રશ્યો સળંગ ચોથા દિવસે કેમેરામાંકેદ થયા હતા. જેમાં રાહતબચાવ કામગીરી કરતા જવાનો મચ્છુ નદીને ખૂંદતા નજરે પડી રહ્યા છે. 6 વધુ લાઈફ બોટ સાથે જવાનો સતત શોધખોળ કરી રહ્યા છે. ગઈ કાલે પણ આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. 6 બોટ દ્વારા રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે, જ્યારે 4 બોટને રિઝર્વમાં રાખી છે. હજુ પણ મૃતદેહો ગુમ હોવાની શક્યતા છે. જેથી મૃતદેહો નહીં મળવા સુધી રેસ્ક્યૂ ઑપરેશન શરૂ રહેશે.
રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવ્યો
આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવ્યો હતો. આજે સ્વર્ણિમ સંકુલ અને વિધાનસભા સહિત કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો. તેવી જ રીતે સુરત અને રાજકોટમાં કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીમાં આજે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, તેમજ મોરબી બાદ રાજકોટ બાર એસોસિયેશન દ્વારા પણ એક વિશાળ મૌન રેલીનું આયોજન કરીને મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી. એટલું જ નહીં વકીલ મંડળે આરોપીઓ તરફી કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો.
શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર
શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને ચીફ જસ્ટિસને સુઓમોટો લઈ ફરિયાદ કરવા વિનંતી કરી છે. તેમનું કહેવું હતું કે, ઈન્કવાયરીથી કશું નહીં વળે. હાઇકોર્ટે ખુદ સુઓમોટો દાખલ કરવી પડશે તો જ જનતામાં વિશ્વાસ બંધાશે.
ઓરેવા કંપનીનો પત્ર વાયરલ થયો
આ સમગ્ર શોકના માહોલ વચ્ચે મોરબી પુલ દુર્ઘટના બાદ ઓરેવા કંપનીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઓરેવા કંપનીએ 2020માં પાલિકાને પત્ર લખ્યો હતો, અને પુલને રિપેર કરીને શરૂ કરવા પત્રમાં માગણી કરાઈ હતી. ઓરેવા કંપનીએ જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2020 સુધી પાલિકાને 6 વખત પત્ર લખ્યો હતો. જેમાં પુલ રિપેરના કોન્ટ્રાક્ટ માટે માગણી કરાઈ હતી.