આ પૂનમ શાકંભરી નવરાત્રીમાં આવતી હોવાથી આ પુનમ શાકંભરી પુનમ તરીકે પણ ઓળખાય છે, ઊંઝા ઉમિયાધામ, શામળાજી, નડિયાદ સંતરામ મંદિર, પાવાગઢ મહાકાળી મંદિરે ભક્તોનો ઘોડાપૂર
પાવાગઢ મહાકાળી મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
આજે પોષી પુનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય દિવસ. યાત્રાધામ અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ માતાજીના દર્શન અને આરતીનો લાભ લેવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પોષી પુનમ માતાજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે. આ પૂનમ શાકંભરી નવરાત્રીમાં આવતી હોવાથી આ પુનમ શાકંભરી પુનમ તરીકે પણ ઓળખાય છે. આ મંદીર પર 358 સુવર્ણ કળશ લાગેલા છે. આજે ઊંઝામાં ઉમિયાધામ, શામળાજી, નડિયાદ સંતરામ મંદિર, સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદા, પાવાગઢ મહાકાળી મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે.
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ સાથે આજે ઊંઝામાં ઉમિયાધામમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. પોષી પૂનમને લઇ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આજે ભક્તોએ પોષી પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શનનો લ્હાવો લીધો અને માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા.
શામળાજી ખાતે ભક્તો ઉમટ્યા
પોષી પૂર્ણિમાને લઈ હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટ્યા છે. વહેલી સવારથી મંદિર પરિસરમાં દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા. પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળીયા અને નિજ મંદિરને ફૂલોથી શણગારાયું છે. પોષી પૂર્ણિમાના દર્શનનું વિશેષ મહત્વ છે. આજે ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા.
ખેડબ્રહ્મા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા મંદિરમાં માં અંબેના પ્રાગટ્ય દિવસે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. નાના અંબાજીમાં ભક્તોએ માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે માતાજીને અન્નકૂટ ધરાવાયો છે. મહત્વનું છે કે, મંદીર ટ્રસ્ટી મંડળ દ્વારા સાંજે મહા આરતી પણ યોજાશે.
નડિયાદ સંતરામ મંદિરે પોષી પૂનમ બોર પૂનમ તરીકે ઉજવાય છે
ખેડા નડિયાદ સંતરામ મંદિરે પોષી પૂનમ પર શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. મહત્વનું છે કે, અહી પોષી પૂનમ બોર પૂનમ તરીકે ઉજવાય છે. જેને લઈ વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. દૂર દૂરથી બાધા પૂર્ણ કરવા ભક્તો નડિયાદ સંતરામ મંદિર ખાતે ઉમટી પડ્યા છે. પોષી પૂનમ નિમિત્તે 70 હજારથી વધુ ભક્તો દર્શન કરશે. આ સાથે મંદિરમાં ભક્તો દ્વારા બોર ઉછાળી બાધા પૂર્ણ કરાઈ રહી છે.
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને અનોખો શણગાર
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. ધનુર્માસ અંતર્ગત દાદાના સિંહાસનને હજારિગલ અને ગુલાબ ના ફૂલોનો શણગારથી સુશોભિત કરવામાં આવ્યો છે. પૂનમ નિમિત્તે મંદિર દ્વારા વિશ્વ શાંતિ માટે હનુમાન ચાલીસા યજ્ઞ કરાશે. આ તરફ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
પાવાગઢ મંદિરે પણ માતાજીને અનોખો શણગાર
આજે પોષી પૂનમે પાવાગઢ ખાતે મહાકાળી નિજ મંદિરે માતાજીનો શણગાર કરાયો છે. પોષી પૂનમે પાવાગઢ ખાતે માં મહાકાળીના દર્શનનું ખાસ મહત્વ છે. આજના પવિત્ર દિવસે માં મહાકાળીના આરતીના દર્શન કરી લોકો ધન્ય બન્યા હતા. પાવાગઢથી મહાકાળી માતાજીના પ્રાતઃ આરતીના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે.
આજે પોષી પુનમ એટલે માં અંબાનો પ્રાગટ્ય દિવસ
મા અંબાના પ્રાગટય દિવસે દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તો મા અંબાના ઉત્સવને માણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગબ્બરથી મંદિર સુધીના માતાજીના ચાચર ચોક સુધી જયોત યાત્રા નીકળશે. તેમજ અંબાજી નગરમાં હાથીની અંબાડી પર મા અંબાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. શોભાયાત્રામાં 25 થી 30 જેટલા ટેબ્લોઝ દ્વારા વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવશે. તો અંબાજી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શક્તિની ઉપાસના અને આરાધનાનું મહત્વ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ઉપરાંત માં અંબાના મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.