લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી મુદ્દે સત્તા પક્ષ સહિતના વીપક્ષો કામે લાગી ગયા છે. ગુજરાત કોંગ્રેસ પણ પોતાની તૈયારીઓમાં લાગી ગયું છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા કોંગ્રેના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે ઉમેદવારોની પસંદગી મુદ્દે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી.
અહેમદ પટેલે જણાવ્યું કે કોંગ્રેસની મોટાભાગની બેઠકો પર ઉમેદવારો નિશ્ચિત છે. ઉમેદવારોની પસંદગી મુદ્દે જિલ્લા કોંગ્રેસે હાઈકમાન્ડ પર છોડવાનું નથી પરંતુ ક્યો ઉમેદવાર સક્ષમ છે તેના પર કામ કરવાનું છે. આ ઉપરાંત અહેમદ પટેલે કોંગ્રેસનાં કાર્યકારોને આગામી લોકસભા ચૂંટણીને લઈ પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન પણ આપ્યું હતું. આ કારોબારી બેઠકમાં ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અહેમદ પટેલે વાયબ્રંટ ગુજરાતને લઇ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે વાયબ્રંટ ગુજરાતને શું ફાયદો થયો તે ગુજરાતની સરકારે કહેવું જોઈએ. વાયબ્રંટ ગુજરાતમાં કેટલું રોકાણ થયું તેના પર ભાજપ સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. 9મી વાયબ્રન્ટ સમિટમાં અમેરિકા અને યૂકે કેમ ન આવ્યું?. કેટલું રોકાણ આવ્યું અને શું ફાયદો થયો એ ક્યાંય દેખાતું નથી. કેટલા કરાર થયા છે તે સરકારે બહાર પાડવું જોઈએ.
વાયબ્રંટ ગુજરાતના મુદ્દા સાથે અહેમદ પટેલે રામ મંદિરનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે રામ મંદિર મુદ્દે અમારૂ સ્ટેન્ડ ક્લીયર છે. રામમંદિર મામલે કોર્ટનો ફેંસલો કોંગ્રેસને માન્ય રહેશે લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતવાનો પ્રયાસ કરીશું.
આ સાથે વિપક્ષનાં ગઠબંધન મુદ્દે અહેમદ પટેલે જણાવ્યું કે PM નરેન્દ્ર મોદીને મહાગઠબંધનથી ડર લાગ્યો તેમ લાગે છે. ગુજરાતની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર સામે હુમલો કરતાં પટેલે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યનું દેવું વધી ગયું છે. 80 લાખ કરોડ કેન્દ્રનું દેવું છે જ્યારે 2થી 3 લાખ કરોડ ગુજરાતનું દેવું થઈ ગયું છે.