ગુજરાતની ચૂંટણી નજીક આવતા જ તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પોતે આજથી ચૂંટણી પ્રચારનો ભાગ બનશે.
પીએમ મોદી-અરવિંદ કેજરીવાલની તાબડતોબ રેલીઓ
અમિત શાહ પણ ચૂંટણી પ્રચારનો ભાગ બનશે
ગઈકાલે વડાપ્રધાને જનતાને કરી હતી આ અપીલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમ થતું જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઢ હોવાથી આ રાજ્યમાં ચૂંટણી ખૂબ જ મહત્વની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)એ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી કરીને ચૂંટણીને ખૂબ જ રસપ્રદ બનાવી છે.
મોદી-શાહ-કેજરીવાલ ગુજરાતમાં
ભાજપને ટક્કર આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓ ગુજરાતના હાલોલ, અમરેલી, ખંભાળિયા અને સુરતમાં રેલી અને સભા કરશે. તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ આજે રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ રેલીઓ અને જનસભાઓ યોજાશે.
ચાલો જોઈએ ક્યાં કોની રેલી યોજાશે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રના વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં રેલીઓને સંબોધશે. PM મોદી આજે કુલ 4 રેલીઓને સંબોધિત કરશે. આ સાથે PM મોદી આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે પણ પહોંચશે.
PM મોદીએ આ પહેલા શનિવારે 19 નવેમ્બરે વલસાડમાં રેલીને સંબોધિત કરીને રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને જનતાને ફરી એકવાર ભાજપને સેવા કરવાની તક આપવા અપીલ કરી હતી. પીએમ મોદીએ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે, ગુજરાતને બદનામ કરનારાઓથી સાવધાન રહેજો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. અમિત શાહ આજે તાપી અને નર્મદા જિલ્લામાં જાહેરસભાને સંબોધશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આજે અરવિંદ કેજરીવાલનો હાલોલમાં રોડ શો યોજાશે. 21 નવેમ્બરે એટલે કે આવતીકાલે સાંજે 5 વાગ્યે અમરેલીમાં અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે. જે બાદ 22 નવેમ્બરના રોજ તેઓ ખંભાળિયામાં જાહેરસભાને સંબોધશે. સાંજે 5 વાગ્યે સુરતમાં તેમનો રોડ શો યોજાશે અને રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેરસભાને સંબોધશે.
રાહુલ ગાંધીની યોજાશે સભા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. ભારત જોડો યાત્રામાંથી સમય કાઢીને રાહુલ ગાંધી 21 નવેમ્બરે ગુજરાતમાં આવવાના છે. તેઓ ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ ગજવશે. રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક-એક જન સભા સંબોધશે. રાહુલ ગાંધી 21 નવેમ્બરે બપોરે 1 કલાકે સુરત અને બપોરે 3 કલાકે રાજકોટમાં પ્રચાર કરશે.