ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી આ વર્ષની કોવિડ 19ની સ્થિતિ અને શાળાઓ બંધ રહેવાની સ્થિતિને તથા બોર્ડની પરીક્ષાઓ ખોરવાઇ જવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષના એડમિશનમાં 12માં ધોરણના માર્ક્સને ધ્યાનમાં ન લેવાની યોજના બનાવી રહ્યું છે એવા અહેવાલો સામે આવ્યા છે. આ પ્રક્રિયાથી IITની તૈયારી કરી રહેલા ઉમેદવારો ઉપર અસર થશે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી દ્વારા 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ ખોરવાઈ જવા મુદ્દે ચર્ચા થઇ હતી. આ મિટિંગ દરમિયાન એવી ચર્ચા થઇ હતી કે આ વર્ષ માટે વિદ્યાર્થીઓના 12માં ધોરણના માર્ક્સ કોલેજના એડમિશન માટે ન ગણવામાં આવે.
આ વર્ષે જે તે ઉમેદવારે 12માંની પરીક્ષા ફક્ત પાસ કરી હોય તેવો ક્રાઈટેરિયા રખાય તેવી સંભાવના છે. નોંધનીય છે કે આ પહેલા IITના ઉમેદવાર માટે ન્યુનતમ 75% અથવા 80% કરવા વધુ પર્સેન્ટાઇલ એવો ક્રાઈટેરિયા હતો. બીજા અહેવાલો પ્રમાણે JEE Mainની પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બરની વચ્ચે યોજાય તેવી સંભાવના છે. જયારે JEE Advanced 27 સપ્ટેમ્બરે યોજાય તેવી સંભાવના છે.
આ ઉપરાંત એવા પણ અહેવાલ છે કે કમિટી દ્વારા જે વિદ્યાર્થીઓ ઢાકા, દુબઇ અને સિંગાપોરમાં ભણે છે અને IITમાં એડમિશન લેવા માટે ઇચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ માટે પણ કોઈ આયોજન કરી રહી છે. દેશના અન્ય રાજ્યના શિક્ષણ બોર્ડે અને CBSEએ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવા માટે અરજીઓ કરી છે. 26 જૂને સુપ્રીમ કોર્ટે CBSEના ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયને મંજૂર કર્યો હતો અને અગાઉની પરીક્ષા પ્રમાણે વિદ્યાર્થીઓને સરેરાશ ગુણ આપી દેવાની યોજના ઉપર મહોર મારી હતી.