કોઈપણ શહેર કે સિટીમાં ટ્રાફિક નિયમ કે ટ્રાફિકને કંટ્રોલમાં રાખવા માટે ટ્રાફિક પોલીસ તૈનાત હોય છે. સિટી કે શહેર કે હાઇવે પર ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા સામે ટ્રાફિક પોલીસ દંડનીય કાર્યવાહી કરતી હોય છે. ટ્રાફિક પોલીસ પાર્કિંગ કે વન-વે જેવા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વાહનચાલકોને મેમો ફટકારતી હોય છે, તો કેટલાક કિસ્સાઓમાં વાહનને ડિટેઈન પણ કરવામાં આવતા હોય છે. ત્યારે અંબાજીમાં પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ટોઈંગ ક્રેનની ફાળવણી કરવામાં આવી છે. જો કોઈ વાહન ચાલક પોતાના વાહનને સરખી રીતે પાર્ક નહીં કરે અથવા તો રસ્તા પર પાર્ક કરશે તો તેમના વાહનને આ ટોઈંગ ક્રેન દ્વારા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે.
અંબાજીમાં ઊભી થાય છે ટ્રાફિકની સમસ્યા
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાજીના દર્શનાર્થે આવતા હોય છે. યાત્રાળુઓ પોતાના પ્રાઇવેટ વાહનોને લઈ માં અંબાના ધામે પહોંચતા હોય છે. અમુક યાત્રાળુઓ પોતાના વાહનોને આડેધડ પાર્ક કરી જતાં રહેતા હોય છે, ત્યારે ટ્રાફિકની મોટી સમસ્યાઓ ઊભી થતી હોય છે. અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સુધીનો હાઇવે માર્ગ 'નો વ્હીકલ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ માર્ગ પર અમુક યાત્રાળુ ગાડીને પાર્ક કરી જતા રહેતા હોય છે, જેને લઈને બીજા વાહનો અને સાર્વજનિક વાહનોને આવવા-જવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને મોટી ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય છે.
ફાઈલ ફોટો
'નો પાર્કિંગ ઝોન'માં વાહન પાર્ક કરનારાઓની હવે ખેર નહીં
ત્યારે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ટોઇંગ ક્રેનની વ્યવસ્થા યાત્રાધામ અંબાજીમાં કરવામાં આવી છે. જેના થકી 'નો પાર્કિંગ ઝોન'માં પાર્ક કરેલી ગાડીને ટોઇંગ ક્રેનથી ડિટેઇન કરી અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવશે અને વાહન ચાલકોને તે વાહનનો મેમો પણ આપવામાં આવશે. જેથી 'નો પાર્કિંગ ઝોન' અને ગમે ત્યાં પાર્કિંગ કરતા વાહન ચાલકોએ હવે ટ્રાફિક નિયમનું પાલન કરવું જરૂરી બની જશે અને ટ્રાફિક સમસ્યામાં પણ નિરાકરણ આવશે.