પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે એક નિવેદનમાં જણાવ્યું છેકે પાકિસ્તાનનું હુક્કા-પાણી બંધ કરવાથી અમને સંતોષ નહીં મળે, આ માત્ર શરૂઆત છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નિવેદન પર રાજનાથસિંહે પ્રહાર કરતાં કહ્યું કે પુલવામા હુમલા પછી જે વડાપ્રધાને આપાણા શહીદ જવાનો પ્રતિ શ્રધ્ધાંજલી પણ અર્પિત ન કરી હોય, તેઓ આતંકવાદ પર ભારત સાથે શું વાતચીત કરશે, હવે વાતચીતનો સમય નીકળી ગયો છે.
જ્યારે રાજનાથસિંહને પુછવામાં આવ્યું કે ભારત પણ એવી કાર્યવાહી કરી શકે જેવી અમેરિકાએ અલકાયદા પ્રમુખ ઓસામા પર કરી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાને જણાવ્યું કે અમેરિકાને પણ આ કાર્યવાહી કરતા અઢી વર્ષ લાગ્યા હતા, અમને એટલો સમય નહીં લાગે. તમે રાહ જુઓ, દેશ નિરાશ નહીં થાય.
પુલવામામાં થયેલા આતંકી હુમલાને હજુ દેશ ભૂલ્યુ નથી અને દેશભરમાં આ હુમલાને લઈને આક્રોશ છે. રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ વિરુધ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક સમુદાયને એક મંચ લાવવામાં સફળ રહ્યાં છે.
કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું આજે દુનિયાના તમામ દેશ પુલવામા હુમલાની નિંદા કરી રહ્યાં છે, હવે નિર્ણાયક લડાઇનો સમય આવી ગયો છે. હવે આતંકવાદ વિરુધ્ધ જે લડાઇ હશે તે નિર્ણાય હશે. રાજનાથસિંહે કહ્યું કે ચીન પણ પુલવામા હુમલા બાદ આપણી સાથે છે ત્યારે પાકિસ્તાન એકદમ અલગ-થલગ પડી ગયું છે.