કોરોના વાયરસનાં ભરડામાં વિશ્વની કેટલીક ટૂર્નામેન્ટ આવી ગઈ છે ત્યારે ભારતની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL પર પણ સંકટનાં વાદળો મંડરાઈ રહ્યા છે. શનિવારે ભારતીય ક્રિકેટ બોર્ડ અને IPLની વિવિધ ટીમનાં માલિકો વચ્ચે બેઠક યોજવામાં આવી જે બાદ સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે.
જો IPL થશે તો મેચની સંખ્યામાં આવશે ઘટાડો
ક્રિકેટ બોર્ડ માટે સુરક્ષા સૌથી પહેલી પ્રાથમિકતા
ક્રિકેટ બોર્ડ અને ટીમનાં માલિકો વચ્ચે 7 વિકલ્પો પર થઇ ચર્ચા
કોરોના વાયરસનાં કારણે દુનિયાની સૌથી મોટી ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગ પર તલવાર લટકી રહી છે. શનિવારે ભારતીય ક્રિકેટ બોર્ડ અને વિવિધ ટીમનાં માલિકો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બાદ ભારતીય ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન સામે આવ્યું છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે જો આઈપીએલ થશે તો તેમાં ઓછી મેચ રમવામાં આવશે.
કોરોનાં વાયરસનાં કોહરામનાં કારણે iplના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. જો કોરોના વાયરસ પર પરિસ્થિતિ કાબૂમાં રહે તો IPLનું આયોજન કરવામાં આવશે. બોર્ડ અને ટીમમાં માલિકો વચ્ચે થયેલ બેઠકમાં ટૂર્નામેન્ટ કરાવવાનાં વિકલ્પો પર પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
BCCIનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે અત્યારે જ ઘણા દિવસો વીતી ગયા છે અને જો હવે IPL થાય તો તેની કેટલી મેચમાં કાપ મૂકવામાં આવશે તો ગાંગુલીએ કહ્યું કે ટૂર્નામેન્ટ તો નાની થશે જ કારણ કે 15 દિવસ તો વીતી ગયા. કેટલી મેચ ઓછી થશે તે હું ન કહી શકું. સાથે જ તેમણે કબૂલાત કરી કે સુરક્ષા તેમની પહેલી પ્રાથમિકતા છે.
ગાંગુલીએ કહ્યું કે 'અમે સ્થિતિ પર નજર રાખીશું. સુરક્ષા સર્વોપરી છે. અમે વર્તમાન પરિસ્થિતિ અને સરકારનાં આદેશને ધ્યાનમાં રાખીને હાલ ઘર આંગણે યોજાનાર બધી જ મેચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.' માનવામાં આવી રહ્યું છે કે બોર્ડ અને માલિકો વચ્ચે થયેલ આ બેઠકમાં 6થી 7 વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી છે. ગાંગુલીએ વધુમાં કહ્યું કે અમે ફ્રેન્ચાઈઝીનાં માલિકોને પરિસ્થિતિ વિશે અવગત કર્યા છે અને આગામી સમયમાં તેનું નિરીક્ષણ કરીશું.