વર્લ્ડ કપ 2019 ટૂર્નામેન્ટની મેચ શરૂ થાય તે પહેલા જ ટીમ ઇન્ડિયાનો એક ખિલાડી ઇજાગ્રસ્ત થયો છે.
વર્લ્ડ કપ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચેલી ટીમ ઇન્ડિયા શનિવારે પ્રેકિટસ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમશે, પરંતુ મેચના એક દિવસ પહેલા વિજય શંકર ઇજાગ્રસ્ત થતા વિરાટની ચિંતામાં વધારો થઇ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજય શંકર શુક્રવારે ઇજાગ્રસ્ત થયો હતો, તેથી તે તરત જ મેદાન છોડીને ચાલ્યો ગયો હતો.
શુક્રવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન વિજય શંકરને હાથમાં બોલ વાગ્યો હતો. ખલીલ અહેમદે બાઉન્સર પુશ કરતા બોલ વિજયના હાથ પર લાગ્યો હતો. જોકે આ અંગે BCCIએ કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા આપી નથી. સત્તાવાર નિવેદન પણ સામે આવ્યુ નથી. ટીમ ઇન્ડિયા આશા રાખી રહી છે કે, વિજય શંકર ફિટ હોય. વિજય શંકરને 4 ક્રમે અંબાતી રાયડુના સ્થાને જગ્યા મળી હતી. 4 નંબરનો ક્રમ યથાવત રહે એવી શક્યતા છે.
ટીમ ઇન્ડિયાએ શુક્રવારે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત સામે ટીમ ઇંગ્લેન્ડે પણ પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જોકે, ઈગ્લેન્ડ માટે પણ માઠા સમાચાર એ છે કે, તેના કેપ્ટન ઈયાન મોર્ગન પણ ઇજાગ્રસ્ત થયો છે. તેના હાથની પહેલી આંગળીમાં ઈજા થઈ હતી. ઈગ્લેન્ડ બોર્ડે શુક્રવારે આ વાત જાહેર કરી હતી. શનિવારે ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડની પહેલી પ્રેક્ટિસ મેચ છે. જ્યારે કેપ્ટન મોર્ગન કેચ પકડવા જઇ રહ્યો હતો ત્યારે ઇજાગ્રસ્ત થયો હતો.
ઈંગ્લેન્ડ બોર્ડે કહ્યું હતું કે, કેપ્ટન મોર્ગનના એક હાથની પહેલી આંગળી ઇજાગ્રસ્ત થઇ ગઇ છે. સારવાર અર્થે તેણે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં એક્સ રે કરાવવામાં આવ્યો હતો. તા. 30થી ઈગ્લેન્ડમાં વર્લ્ડકપ મેચ શરુ થઈ રહી છે. પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા સામે રમાશે. રિપોર્ટ અનુસાર, ઇજા એટલી ગંભીર નથી. ઇંગ્લેન્ડ તરફથી બટલર પણ વાઇસ કેપ્ટન છે.