કોરોનાના કહેર વચ્ચે IAS અધિકારી વિજય નેહરાની અમદાવાદથી બદલી કરવામાં આવી હતી. વિજય નેહરાની બદલીને લઈને રાજકારણ શરૂ થયું છે. ભાજપ આઇટી સેલ દ્વારા નેહરા વિરુદ્ધ ટ્વિટને લઇ વિવોદ શરૂ થયો છે. ત્યારે હવે ગ્રામ વિકાસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યા બાદ વિજય નહેરાએ સૂચક ટ્વિટ કર્યું છે. નેહરાએ કવિ શિવમંગલ સિંહની કવિતા 'વરદાન માંગૂંગા નહીં' ટ્વિટ કરી છે.
ગ્રામ વિકાસ કમિશનરનો ચાર્જ સંભાળ્યા બાદ નહેરાનું ટ્વિટ
કવિ શિવમંગલ સિંહની કવિતા ટ્વિટ કરી સંકેત આપ્યા
વરદાન માગુંગા નહીંઃ વિજય નેહરા
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. રાજ્યના 80 ટકા જેટલા કેસ માત્ર એકલા અમદાવાદમાં નોંધાયા છે. તેમ છતા સારી કામગીરી કરતા અધિકારીની બદલી કરવામાં આવી. અગાઉ પણ વિજય નેહરાને લઈને અનેક આક્ષેપ થયા છે. વધુ ટેસ્ટ કરતા હોવાને લઈને બદલી કરાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યારે આજે મુખ્યમંત્રી સાથે બેઠક બાદ વિજય નેહરાએ ટ્વિટ કર્યું છે. જેમાં નેહરાએ હું જુકીશ નહીં તેવું વલણ દર્શાવ્યું છે.
વિજય નેહરાનું ટ્વીટ એવો ઈશારો કરે છે કે તે ઝૂકશે નહીં. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું તે માટે નેહરા ઉપર માછલા ધોવાયા હતા. વિજય નેહરાનું આ ટ્વીટ બતાવે છે કે તેઓ પોતાના વલણ પર મક્કમ છે. વિજય નેહરાનું ટ્વીટ એ પણ બતાવે છે કે તેણે અમદાવાદમાં યોગ્ય કામગીરી કરી છે. પોતાના ટીકાકારોને વિજય નહેરા કહેવા માંગે છે કે તેઓ સાચા છે.
વિજય નેહરા અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક થઇ
આજેજ (મંગળવાર) વિજય નેહરા અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક થઇ હતી. આ બેઠકમાં મનરેગા મુદ્દે મુખ્યમંત્રી અને વિજય નેહરાએ ચર્ચા કરી હતી. ત્યારે નેહરાનું લક્ષ્ય ગામડામાં રોજગારી પૂરી પાડવાનું છે. ગ્રામિણ વિસ્તારમાં વધારે રોજગારી મળે તેવું સરકારનું લક્ષ્ય છે. જેમાં દરરોજ 15 લાખ લોકોને રોજગારી પુરી પાડવાનું મિશન છે. જ્યારે હાલમાં દરરોજ 4 લાખ લોકોને મનરેગામાં રોજગારી મળે છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બાદ હાલ વિજય નેહરા ગ્રામિણ વિકાસ કમિશનર છે.
વિજય નેહરાએ અમદાવાદ રૂરલનો સંભાળ્યો ચાર્જ
વિજય નેહરાએ અન્ય એક ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, તેમણે રૂરલ કમીશનર અને સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. 19મે થી ચાર્જ સંભાળ્યો હોવાની માહિતી આપી.
અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધુ હતું, જેને લઇને બદલી કરવામાં આવીઃ ભાજપ નેતા
બીજી તરફ ભાજપના નેતા પંકજ શુકલા અને દેવુસિંહ ચૌહાણે ટ્વિટ કરીને આક્ષેપ કર્યા હતા. પંકજ શુકલાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, વિજય નેહરા પોતાના પ્રચારમાં રચ્યાપચ્યા રહેતા હતા. અમદાવાદમાં 8 લાખ કેસ થવાના તેમણે ભ્રામક આંકડા આપ્યા. વિજય નેહરાએ લોકોમાં ડર ઉભો કર્યો. અમદાવાદને ભગવાન ભરોસે છોડીને તેઓ પોતે ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. ત્યારબાદ દેવુસિંહે પ્રતિક્રિયા આપી છે કે, વિજય નેહરા પોતાના પ્રચારમાં રચ્યાપચ્યા રહેતા. તેમણે અમદાવાદને ભગવાન ભરોસે છોડી દીધુ હતુ. જેના કારણે તેમની બદલી કરવામાં આવી.