જેતપુર ધોરાજીમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા પતિએજ પત્નીની ઘરકંકાસમાં હત્યા કરી નાખી છે. હત્યાને અંજામ આપ્યા બાદ હત્યારો પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો.
જેતપુરમાં પતિએ કરી પત્નીની હત્યા
ચોથા માળેથી પત્નીને માર્યો ધક્કો
સારવાર દરમિયાન પત્નીનું મોત
રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુંમાં ફરી એક વખત જેતપુરમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યા પતિએજ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે. તેમજ લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
ઘરકંકાસમાં હત્યાને અંજામ
જેતપુરમાં ધોરાજીની ચિશ્તીયા કોલોનીમાં આ બનાવ બન્યો છે. બનાવને કારણે સોસાયટીના લોકો પણ ચોંકી ઉઠ્યા છે. મહિલાના પતિએ ઘરકંકાસમાં આ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેમા પતિએ ચોથા માળેથી તેની પત્નીને ધક્કો મારી દીધો. જેના કારણે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
જોકે પત્નીને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતું સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. જેના કારણે મહિલાના પરિવારજનોના માથે આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોનું કહેવું છે કે મૃતકની બે સંતાનો હતી. જેમણે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
હત્યા કરીને પતિ પોલીસ સ્ટેશનમાં ગયો
સાંભળીને તમને નવાઈ લાગશે કે હત્યા કર્યા બાદ પતિ ક્યાંય પણ ફરાર ન થયો. પરંતુ તે જાતેજ પોલીસ સ્ટેશનમાં ગયો જ્યા તેણે હત્યાની કબૂલાત આપી હતી. હત્યારા પતિએ જે રીતે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો તે જોઈને પોલીસ પણ બે ઘડી વિચારમાં મુકાઈ ગઈ હતી. પતિએ એવી કબૂલાત આપી છે કે ઘરકંકાસમાં તેણે તેની પત્નીને ધક્કો મારી દીધો હતો.
પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ધોરાજી પોલીસે હત્યાનો ગુનો નોંધીને પતિની ધરપકડ કરી લીધી છે. સાથેજ પોલીસે આ સમગ્ર મામલે તપાસ આરંભી છે કે પતિએ જે પણ કીધું તેમા કેટલું સત્ય છે. પરંતુ આ બનાવને લઈને આસપાસના વિસ્તારમાં હાલ ચકચાર મચી જવા પામી છે.