આમ જોવા જઈએ તો નાગરિકતા સંશોધન કાયદો CAA અને NRC બંનેની શરૂઆત ભારતના હાથીના કારણે થઇ હતી. આસામના એક હાથીએ અજાણતા આસામમાં શોધેલા કેરોસીનના ભંડારને મેળવવાની લાલસા પાછળ આ આખી પળોજણ ઉભી થઇ છે.
કેરોસીનના કુવાઓના ખોદકામ માટે આવતા મજુરોથી આસામમાં બંગાળી વસ્તી વધવાની શરૂઆત થઇ
1985માં Assam Accordથી શરૂઆત થઇ NRCની
આસામમાં શોધાયું કેરોસીન
150 વર્ષ પહેલા સાલ 1866માં બ્રિટિશ એન્જિનિયર વિલી લેઉઆ લેકની આગેવાની હેઠળ દિબ્રુગઢથી 100 કિમી લાંબી રેલવે લાઈનની કામકાજ ચાલી રહ્યું હતું. તે સમયે ટ્રેનના પાટાના બાંધકામમાં હાથીઓનો માલવાહક તરીકે ઉપયોગ થતો હતો.
આવા એક હાથીના પગમાંથી કેરોસીનની ગંધ આવતી હોવાનું વિલીએ નોંધ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે પશ્ચિમના દેશોમાં ખૂબ વપરાતું કેરોસીન અહીંથી મળી આવે છે. અહીં તેમણે તેલના કુવા શોધીને ખોદકામ ચાલુ કર્યું.
ખોદકામ માટે જરૂરી હતા મજૂરો
આ ખોદકામથી આર્થિક રીતે રાજ્યમાં ઉછાળો નોંધાયો કારણ કે નવા રસ્તા, ઇમારતો, ફેકટરીઓ, સડકો વગેરેનું તાત્કાલિક બાંધકામ કરવાની જરૂરિયાત ઉભી થઇ. આ માટે બંગાળમાં રહેતા મોટી સંખ્યામાં મજુરો મોટા પાયે આસામમાં ખડકાવવાના શરુ થયા.
તેઓ આસામમાં પોતાની બંગાળી કોલોની સ્થાપીને રહેવા લાગ્યા. જોતજોતામાં તેમની સંખ્યા ખૂબ વધી ગઈ અને આસામી લોકોને લઘુમતીમાં આવવાનો ડર લાગ્યો. આ સમયે ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) અને યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA) જેવા સંઘઠનો બન્યા. વખત જતા આ સંઘઠનોના નેતાઓ આસામના ચૂંટાયેલા નેતાઓ અને ઉદ્યોગપતિઓ બન્યા.
Assam Accord 1985થી શરૂઆત થઇ NRCની
Assam Accord 1985માં પ્રથમ વખત સરકારે આસામમાં National Registry of Citizens of India એટલે કે NRC લાગુ કરી. પ્રથમ 1966 પછી આવેલા લોકોને ગેરકાયદેસર ઠેરવવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ આ આ સાલ 1971 કરી દેવાઈ.
અનેક કાયદાકીય તાણાંવાણાં બાદ 2010માં પ્રથમ વખત 2 જિલ્લાથી શરુ કરવામાં આવી. ખૂબ હિંસા થતા આ પ્રક્રિયા બંધ કરી દેવાઈ. 2013માં સુપ્રિમ કોર્ટના આદેશથી આ પ્રક્રિયા ફરી શરુ કરવામાં આવી.
31 ઓગસ્ટ 2019ના રોજ આ પ્રક્રિયાનું પરિણામ જાહેર થયું જેમાં 19 લાખ લોકોને ગેરકાયદેસર નાગરિક ઠેરવવામાં આવ્યા. 1600 કરોડના ખર્ચે થયેલા આ સર્વેના પરિણામથી આસામી લોકો ખુશ નહોતા કારણ કે કુલ ગેરકાયદેસર લોકોની વાસ્તવિક સંખ્યા કરતા NRCની સંખ્યા ઘણી ઓછી હતી.
ત્યાર બાદ દેશમાં લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદાને NRC સાથે જોડી દેવાની ચર્ચાએ જોર પકડતા સમગ્ર દેશમાં અશાંતિનો માહોલ ફેલાયો. લોકોમાં ભય ફેલાયો છે કે મુસ્લિમ નાગરિકો સાથે આ બિલમાં અન્યાય કરવામાં આવ્યો છે.
શું આ એક રાજકીય રમત છે?
નિષ્ણાતોના મતે આ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદને મેળવવાની એક રાજનીતિ છે. આ પ્રકારના વિરોધ પ્રદર્શનો અને તોડફોડ વડે લોકોનું ધ્યાન અસલી મુદ્દાઓ પરથી ભટકાવવાનું અને ધાર્મિક એખલાસને તોડી પાડવાનું છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની હિંસા કે તોડફોડને વખોડે છે અને તમામ લોકોને શાંતિ જાળવવા અને બંધારણીય રીતે પોતાનો અભિપ્રાય પ્રદર્શિત કરવા અપીલ કરે છે.