સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો છે. સુરતના રુદરપુરા મ્યુનિસિપલ શોપિંગ કોમ્પ્લેક્ષ ખાલી કરાવા મુદ્દે હાઈકોર્ટે આપેલો મનાઈ હુકમ હટાવી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્ષના અમુક દુકાનદારોએ મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે તેમની દુકાનને ખાલી કરવા માટે કોર્પોરેશન આપેલી નોટીસને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જોકે આ મામલે હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સંદર્ભે કરેલા અવલોકનને ધ્યાને લીધું છે. જેમાં સુપ્રીમ કોર્ટે, 'જાહેરહિતના મહત્વના પ્રોજેક્ટમાં કોર્ટે લાંબો સમય મનાઈ હુકમ આપીને હસ્તક્ષેપ કરવો જોઈએ નહી' તેવું અવલોકન કર્યું હતું.
ત્યારે આજે સુરત મનપાએ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અડચણ રૂપ શોપિંગ કોમ્પ્લેક્ષ દુકાનોનું ડિમોલિશન પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, મનપાના દબાણ વિભાગના અધિકારીઓએ વરસતા વરસાદમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ કોમ્પલેક્ષ ખાલી કરવાની નોટીસ આવતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વેપારીઓ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી અહિં ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ અમે આ જગ્યા રૂપિયા આપીને ખરીદી હતી એમ કહીને મનપાના અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો. મહત્વનું છે કે, વેપારીઓેએ તંત્ર સમક્ષ દુકાનની સામે બીજી દુકાન આપવાની માંગ કરી છે.
વેપારીઓએ ખખડાવ્યો હતો હાઈકોટનો દરવાજો
ઉલ્લેખનીય છે કે, દુકાનદારોએ જિલ્લા કોર્ટમાં કોર્પોરેશનની કામગીરીને પડકારી હતી. જેમાં 11-8-2021ના રોજ જિલ્લા કોર્ટ દ્વારા કોર્પોરેશનની તરફેણમાં ઓર્ડર કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશનની કામગીરી યોગ્ય ગણાવી હતી. જે બાદ ફરીથી મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો અને કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે જો તેમની દુકાન છીનવાઈ જશે તો રોજેરોટનું માધ્યમ નહીં રહે જેથી તેમને અન્ય સ્થળે અથવા તો વૈકલ્પિક ધોરણે ધંધા-વેપાર માટેની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે'.ત્યારે આ મામલે અરજદાર દુકાનદારોની અરજી સંદર્ભે હાઇકોર્ટે કોર્પોરેશનની દુકાન ખાલી કરાવવાની કામગીરી પર 23-9-2021ના રોજ મનાઈ હૂકમ આપ્યો હતો. જોકે હવે કોર્પોરેશન દ્વારા સુપ્રીમ કોર્ટે બુલેટ ટ્રેન સંદર્ભેના કેસમાં કરેલ મહત્વપૂર્ણ અવલોકન ટાંકીને કહ્યું કે, જાહેરહિતના મહત્વના પ્રોજેક્ટમાં કોર્ટે લાંબો સમય મનાઈ હુકમ આપીને હસ્તક્ષેપ કરવો જોઈએ નહી. આ સાથે રજૂઆત કરાઈ કે સુરતના લોકો માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અને હિતમાં છે. જે બાદ કોર્ટે દુકાનદારોની અરજી ફગાવી દીધી છે.