ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સોમનાથમાં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન થયું
ગૃહમંત્રી અમિત શાહે સોમનાથ દાદાના દર્શન કર્યા
સોમનાથ ટ્રસ્ટની અદ્યતન વેબસાઈટ નું લોન્ચિંગ કર્યું
ખાસ મેકેનિઝમ સિસ્ટમથી સોમનાથ મહાદેવને ધ્વજા રોપણ કર્યું
ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવને શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. લોકસુખાકારી તેમજ જનકલ્યાણ માટે કેન્દ્રિય ગૃહ મંત્રી એ પ્રાર્થના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તેમજ સમુદ્ર દર્શન પથ પર ૨૦૨ મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન પણ કર્યુ હતું.
ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યું
ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોમનાથ મંદિરના પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ધ્વજારોપણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ નિત્યમહારૂદ્ર પાઠનો સંકલ્પ કર્યો હતો. ગૃહમંત્રીએ મંદિરમાં સોમગંગા વિતરણ સુવિધાનો પ્રારંભ કરી ચંડેશ્વર પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. સોમનાથ મહાદેવને અર્પણ કરાતા ગંગાજળને રિફાઇન કરી ભાવિકોને પ્રસાદ રૂપે આપવાના પવિત્ર પ્રકલ્પનો પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.
प्रथम ज्योतिर्लिंग सोमनाथ मंदिर में महादेव के दर्शन कर पूजा अर्चना की।
સોમગંગા અભિષેક જલ વિતરણ પ્રારંભ
ભગવાન સોમનાથને અભિષેક કરવામાં આવતું જલથી માર્જન કરવાનો અનેરો મહિમા છે. સોમનાથના દર્શન બાદ શ્રદ્ધાળુઓ મંદિરની પ્રદક્ષિણા તેમજ અભિષેક જલથી માર્જન કરતા હોય છે. જેનું અનેરૂ મહત્વ છે. જે કોઈ (વ્યકિત) સોમગંગા જલથી સ્વશરીરનું પરિમાર્જન કરે છે તો તેની આધિ-વ્યાધિનો નાશ થાય છે. આ સોમગંગા જલ શ્રદ્વાળુઓ પોતે લઈ જઈ શકે તે માટે ઈ.ટી.પી. પ્લાન્ટ લગાડી આ જળને શુદ્ધ કરી આકર્ષક બોટલમાં પેક કરી વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુવિધાનો ગૃહમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો.
શ્રદ્ધાળુઓને લાઈવ દર્શન કરવા માટે અધતન ટેકનોલોજી વાળી સાઇટનું લોન્ચિંગ
સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી દેશ વિદેશના શ્રદ્ધાળુઓને લાઈવ દર્શન કરવા માટે અધતન ટેકનોલોજીના માધ્યમથી વ્યવસ્થા ગોઠવી છે. નવી વેબ સાઇટ માહિતીસભર વાપરવામાં સુગમતા રહે તે તમામ બાબતોનું ધ્યાન રાખી તૈયાર કરવામાં આવી છે. નવી વેબસાઈટના લોન્ચિંગથી યાત્રિકો ઘરે બેઠા પૂજા વિધિ નું રજીસ્ટ્રેશન, અતિથિ ગૃહ રૂમનું બુકિંગ, ડોનેશન, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, રુદ્રાભિષેક વિગેરે પૂજા વિધિ ઓનલાઇન બુક કરાવી શકશે. સોમનાથની પ્રસાદી તેમજ સોમનાથ મંદિરમાં પૂજા કરાયેલ ચાંદીના સિક્કા, પાર્વતીમાતાને ચડાવેલ સાડી, મહાદેવને શૃંગાર કરેલ વસ્ત્રો તથા મંદિર પર ધ્વજા રોહણ કરાયેલ ધ્વજા પણ વસ્ત્ર પ્રસાદી રૂપે ઓનલાઇન મંગાવી શકશે તેમજ સ્નેહી સંબંધીને પણ મોકલાવી શકાશે. સોમનાથના રોજેરોજના લાઈવ દર્શન, આરતી તેમજ સાઈટ સીન, પ્રવાસન સ્થળો, હેરીટેજ વોક, ટેમ્પલ વોકની પણ માહિતી મળશે. આ નવિન વેબ પોર્ટલ પણ અમિતભાઇ શાહે લોંચ કર્યુ હતું.
મારુતિ હાટ તથા હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ
ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત નિર્માણ થયેલ સમુદ્ર દર્શન પથની બાજુમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તેવા શુભ આશયથી રૂપિયા ૦૧ કરોડ ૮૦ લાખ ના ખર્ચે મારુતિ નું હાટનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૧૦x૧૦ ફૂટની ૨૬૨ દુકાનો બનાવી સ્થાનિક હોકર્સને ફાળવવામાં આવેલ છે. આ દુકાનો હોકર્સને મળવાથી ૨૦૨ પરિવારોને રોજગારી મળી છે. વર્ષ દરમિયાન સમુદ્ર દર્શન પથ વોકવે પર ૧૬ લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે. આ બીચ પર હનુમાનજીની ૧૬ ફૂટની પ્રતિમા ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. બીચ પર આવતા સહેલાણીઓ આ પ્રતિમા સાથે સેલ્ફી લઈ શકશે અને આ પ્રતિમા સોમનાથના બીચની ભવ્ય ઓળખ બનશે.
કોણ કોણ હતું હાજર
કેન્દ્રીય ગૃહમંત્રીની સોમનાથ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નેશનલ કો ઓપરેટીવ એગ્રીકલ્ચર બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, પૂર્વ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદપરમાર, પૂર્વ બીજ નીગમ ચેરમેન રાજશી જોટવા, પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીઠકરાર,જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ મતી રામીબહેન વાજા,વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયૂષ ફોફંડી, સોમનાથ મંદિર ટ્રસ્ટી જે.ડી.પરમાર, પી.કે લહેરી, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.