આતંકવાદ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને મળેલી બદનામીના ડરથી હવે પાકિસ્તાને આતંકી સંગઠનો માટે હથિયારોની સહાય રોકી છે. જેના કારણે આતંકી સંગઠનો પાસે હથિયારોની ઊણપ સામે આવી છે.
ત્યારે મોટા ભાગના આતંકી સંગઠનો પોતાના સંગઠનમાં સામેલ થવા માગતા યુવકો સામે શરત મૂકી રહ્યાં છે. આતંકી સંગઠનો એવી શરત મૂકી રહ્યાં છે કે પહેલા હથિયાર લઈને આવો બાદમાં સંગઠનમાં ભરતી થવા મળશે.
આ ખુલાસો હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદીઓએ ધરપકડ બાદ પૂછપરછમાં કર્યો છે. જ્યારે બીજી તરફ ધરપકડ કરાયેલા આતંકી કિફાયતુલ્લા બુખારીને પણ જલ્દી પાકિસ્તાન ખાતે ટ્રેનિંગ માટે મોકલવાનો હતો.
જેના માટે પાસપોર્ટ બનાવવા માટે પણ અરજી કરી દેવામાં આવી હતી. જેથી હવે આતંકી બનવા માટે યુવકો જમ્મૂ-કશ્મીર અને દિલ્લી NCRથી હથિયાર એકત્ર કરવામાં વ્યસ્ત થયા છે. દિલ્લી પોલીસનો સ્પેશિયલ સેલ જમ્મૂ-કશ્મીર ISના અનેક આતંકવાદીઓની ધરપકડ કરી ચૂક્યુ છે
જેઓ દિલ્લી હથિયાર લેવા માટે આવ્યા હતા. યૂપીના મુરાદાબાદથી હથિયાર લઈને જઈ રહેલા બે આતંકીઓને જામા મસ્જિદ દિલ્લીના બસ સ્ટેન્ડથી સપ્ટેમ્બરમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.
દિલ્લી પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે કે ધરપકડ કરાયેલા આતંકી દિલ્લી NCRમાં ક્યાંથી હથિયાર લઈને ગયા હતા. જે માટે સ્પેશિયલ સેલની ટીમ જલ્દી આતંકીઓની પૂછપરછ માટે જમ્મૂ-કશ્મીર જશે.