દેશની રાજધાની દિલ્હીની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાંની એક જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારે કેટલાક બુકાનીધારી હુમલાખોરોએ તોડફોડ કરી અને વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટી સાથે મારઝૂડ કરી હતી. આ ચોંકાવનારી ઘટનાના બે દિવસ બાદ પણ દિલ્હી પોલીસ હજુ સુધી કોઈ પણ ગુનેગારને પકડી શકી નથી.
જેએનયુ (JNU)માં રવિવારે કેટલાક બુકાનીધારી હુમલાખોરોએ તોડફોડ કરી
ઘટનાના બે દિવસ બાદ પણ દિલ્હી પોલીસ હજુ સુધી કોઈ પણ ગુનેગારને પકડી શકી નથી
પોલીસ હજુ પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં કે કડક પગલાં ભરવામાં ખચકાઈ રહી છે
સોશિયલ મીડિયા પર હુમલાખોરોના ઘણા વીડિયો વાઈરલ થયા છે, પરંતુ પોલીસ હજુ પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં કે કડક પગલાં ભરવામાં ખચકાઈ રહી છે. જેએનયુમાં થયેલી બબાલે દેશનાં અન્ય શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનની આગ લગાવી દીધી છે. મુંબઈ-કોલકાતા સહિત અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરીને JNUના વિદ્યાર્થીઓનું સમર્થન કરી રહ્યા છે.
દિલ્હી પોલીસની કાર્યવાહી પર અનેક સવાલ ઊઠ્યા
જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ દરમિયાન હિંસા થઈ હતી ત્યારે દિલ્હી પોલીસ કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર જ કેમ્પસમાં ઘૂસી ગઈ હતી અને એ માટે એવું બહાનું આગળ ધર્યું હતું કે બહારના કેટલાક ગુંડાઓ કેમ્પસમાં ઘૂસી ગયા છે, પરંતુ જ્યારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ગુંડાઓ ખુલ્લેઆમ ઘૂસી રહ્યા હતા ત્યારે પોલીસ અચાનક ગાયબ થઈ ગઈ હતી. આ કારણે જ દિલ્હી પોલીસની કાર્યવાહી પર પણ અનેક સવાલ ઊઠી રહ્યા છે.
જેએનયુ હિંસાના ૪પ કલાક બાદ પણ હજુ સુધી કોઈ અપરાધીની ધરપકડ નથી કરાઇ
જેએનયુ હિંસાના ૪પ કલાક બાદ પણ હજુ સુધી કોઈ અપરાધીની ધરપકડ કરવામાં આવી નથી કે પોલીસ એક્શન મોડમાં પણ દેખાતી નથી. આ મામલે ફરિયાદના આધારે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ હિંસામાં બહારના લોકોનો હાથ છે.
જેએનયુ હિંસા પાછળ આ વિવાદ
આ હિંસાની શરૂઆત ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે સર્વર પર શરૂ થયેલા વિવાદથી થઈ હતી. પોલીસનું કહેવું છે કે પ જાન્યુઆરીએ પહેલાં સાંજે પાંચ વાગ્યે અને બાદમાં સાંજે સાત વાગ્યે તેમને કોલ આવ્યો હતો. હજુ સુધી પોલીસ સીસીટીવી ફૂટેજ જ તપાસી રહી છે. પોલીસની સામે હજુ પણ પડકાર છે કે આ હિંસાના ગુનેગારોને જલદીથી પકડે. દિલ્હી પોલીસ તરફથી હિંસાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે તેમજ આ કેસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવ્યો છે, જેણે તપાસ શરૂ કરી દીધી છે.
હિંદુ રક્ષા દળનો દાવો
દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારની રાતે થયેલી હિંસાની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. હિંદુ રક્ષા દળ નામનાં એક સંગઠને દાવો કર્યો છે કે, જેએનયુમાં તેના કાર્યકરોએ હિંસા કરાવી છે. સંગઠનના અધ્યક્ષ પિંકી ચૌધરીનો એક વીડિયો વાઈરલ (Video Viral) થયો છે, જેમાં તે જેએનયુમાં થયેલી હિંસાની જવાબદારી લઈ રહેલ છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે રાતે કેટલાક નકાબધારી હુમલાખોરોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. આવી સ્થિતિમાં હિંદુ રક્ષા દળનો હિંસાની જવાબદારી લેવાનો દાવો કરતો એક વીડિયો સામે આવ્યો છે. વાઈરલ થયેલા વીડિયોમાં હિંદુ રક્ષા દળના અધ્યક્ષ પિંકી ચૌધરીએ કહ્યું છે કે, જે પ્રવૃત્તિઓ થઈ છે તે અમે સહન નહીં કરીએ. આ લોકો આપણા દેશમાં રહે છે, આપણા દેશનું ખાય છે. આપણા દેશમાં જ શિક્ષણ મેળવે છે. આપણા દેશમાં આવી પ્રવૃત્તિઓ હિંદુ રક્ષા દળ ક્યારેય સહન કરશે નહીં.
પિંકી ચૌધરી વીડિયોમાં વધુમાં જણાવે છે કે, જો કોઈ અહીં દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરશે તો તેને એ રીતે જ જવાબ આપવામાં આવશે, જેવો અમે ગઈ કાલે સાંજે આપ્યો હતો. અમે તેની જવાબદારી લઈએ છીએ. આપણા ધર્મની વિરુદ્ધ આટલું ખોટું બોલવું એ આ લોકોનો ક્યા પ્રકારનો વ્યવહાર છે. ઘણા વર્ષોથી જેએનયુ સામ્યવાદીઓનો અડ્ડો બની ગઈ છે અને આવા અડ્ડા અમે સહન કરી શકતા નથી. અમે લોકો અમારા ધર્મ માટે અમારો પ્રાણ ન્યોછાવર કરવા પણ તૈયાર રહીએ છીએ.
ABVP-ડાબેરી કાર્યકરોએ બુકાની પહેરી હિંસા આચરી હતી
દિલ્હી પોલીસની પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે, બુકાની પહેરીને જે લોકોએ યુનિવર્સિટી કેમ્પસમાં હિંસા આચરીને આતંક ફેલાવ્યો હતો. તેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) અને લેફ્ટના કાર્યકરો બંને સામેલ હતા. આ બુકાનીધારી હુમલાખોરોએ યુનિવર્સિટી કેમ્પસમાં તબાહી મચાવી હતી. જેમાં ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ક્રાઈમ બ્રાન્ચની પ્રારંભિક તપાસમાં સ્પષ્ટપણે એવાં તથ્યો બહાર આવ્યાં છે કે, હિંસામાં બંને પક્ષોનો હાથ હતો.