યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ અપાયું છે. શહેરના ૫.૫ કિ.મી.ના ક્ષેત્રફળમાં ફેલાયેલા કોટ વિસ્તારનાં હેરિટેજ મકાનો અને હેરિટેજ સ્થાપત્યના આધારે આ ખિતાબ યુનેસ્કો દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને એનાયત કરાયો છે.
હેરિટેજ મકાનોનાં રિનોવેશન માટે સિંગલ વિન્ડોમાં માત્ર ત્રણ અરજી આવી
તંત્ર દ્વારા હેરિટેજ વિભાગનો સ્ટાફ ટ્રસ્ટમાં સમાવી લેવાયો
જોકે એક અથવા બીજા કારણસર શહેરની હેરિટેજ અસ્મિતા જોખમાઈ છે. આવાં મકાનોના રિનોવેશન માટે તંત્ર દ્વારા શરૂ કરાયેલી સિંગલ વિન્ડોને હેરિટેજ મિલકતધારકોએ સાવેસાવ નબળો પ્રતિસાદ આપતાં તંત્ર પણ સ્તબ્ધ બન્યું છે.
હેરિટેજ મકાનોની સ્થિતિ વધુ કથળી રહી છે
ગત તા. 8 જુલાઈ, 2017એ યુનેસ્કોએ અમદાવાદને દેશનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કર્યું હતું. શહેરની પોળનાં દાયકાઓ જૂનાં કાષ્ઠ કારીગરીનાં બનેલાં મકાનો શહેરની ધરોહર છે. 600થી વધુ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતા અમદાવાદના કોટ વિસ્તારના જૂની પરંપરાગત શૈલીનાં મકાનો આજે પણ દેશ-વિદેશના મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. તે વખતે દિલ્હી અને મુંબઈ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત શહેરો પણ વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ મેળવવા અમદાવાદ સામે સ્પર્ધામાં હતાં તેમ છતાં કોટ વિસ્તારનાં બહુમૂલ્ય મકાનોના કારણે અમદાવાદને આ ગૌરવ મળ્યું હોવા છતાં હેરિટેજ મકાનોની સ્થિતિ વધુ ને વધુ કથળતી જાય છે.
માત્ર ત્રણ હેરિટેજ મિલકતના રિનોવેશન માટે તંત્ર સમક્ષ આવી અરજી
હેરિટેજ મકાનોનાં રિનોવેશન માટે તેના મિલકતધારકોને ચાર-પાંચ વિભાગના આંટા મારવા પડતા હતા. પ્રોપર્ટી ટેક્સ વિભાગ, હેરિટેજ વિભાગનો અભિપ્રાય, ઝોનિંગ સર્ટિફિકેટ, રોડ લાઇન વગેરે મેળવવા હેરિટેજ મિલકતધારકોને ધક્કા ખાવા પડતા હતા, જેના કારણે જાણે-અજાણે એજન્ટ પ્રથાને પ્રોત્સાહન મળતું હતું. એટલે લગભગ પોણા બે મહિના પહેલાં સત્તાવાળાઓએ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી હતી. આનાથી હેરિટેજ મિલકતધારકોના રિનોવેશનને લગતા તમામ પ્રશ્નોનો એક જ જગ્યાએ નિકાલ આવશે તેમજ ભ્રષ્ટાચાર પર અંકુશ મૂકી શકાશે તેવો આશાવાદ સત્તાધીશોએ સેવ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે 2236 હેરિટેજ મિલકતો હોવા છતાં માત્ર અને માત્ર ત્રણ હેરિટેજ મિલકતના રિનોવેશન માટે તંત્ર સમક્ષ અરજી આવી છે. આટલી હદે નબળો પ્રતિસાદ હેરિટેજ મિલકતધારકો તરફથી મળશે તેવી કલ્પના પણ તંત્રને નહોતી. જોકે હવે સત્તાવાળાઓઔએ સિંગલ વિન્ડો સિસ્ટમનું માર્કેટિંગ કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.
હેરિટેજ વિભાગ દ્વારા માર્કેટીંગ કરાશે
સામે દિવાળીના તહેવારો હોઈ મ્યુનિ. હેરિટેજ વિભાગ દ્વારા આ તહેવારોની ઉજવણી થઈ ગયા બાદ તેનું માર્કેટિંગ કરાશે. અત્યારે તો તંત્રે તમામ કાયદાકીય પ્રક્રિયાઓને વધુને વધુ સરળ બનાવવા ઉપરાંત તંત્રની સત્તાવાર વેબસાઇટ પર આને લગતી માહિતી મૂકવા તેમજ હેરિટેજ મિલકતધારકોના પ્રશ્નો-મૂંઝવણોના નિરાકારણ માટે હેલ્પલાઇન શરૂ કરવા જેવી બાબતોની ચર્ચા વિચારણા હાથ ધરી છે. તંત્રની હેલ્પલાઇન ૧૫૫૩૦૩ ઉપરાંતની નવી હેલ્પલાઇન શરૂ કરવી કે કેમ તે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે. દરમિયાન, ઉચ્ચ સ્તરેથી હેરિટેજ વિભાગના તમામ સ્ટાફનો હેરિટેજ ટ્રસ્ટમાં સમાવેશ કરાતાં એક પ્રકારે આ વિભાગનું વિસર્જન કરાયું છે. હેરિટેજ વિભાગના ઉચ્ચ અધિકારી નાયરનું કોરોનાના કારણે મૃત્યુ થયું હોઈ સમગ્ર વિભાગ નધણિયાતો બન્યો હતો તે અત્રે ઉલ્લેખનીય છે.