આપણા દેશમાં એવી ઘણી રહસ્યમય જગ્યાઓ છે જેના વિશે જાણીને નવાઈ લાગે. ભારતમાં ઘણા એવા સ્થળો હજુ હયાત છે જ્યાં જેનામાં શ્રદ્ધા હોય તેને સાક્ષાત ભગવાન મળે છે. આવુજ એક તળાવ છે જમ્મૂ અને કાશ્મીરમાં જે અમરનાથ ગૂફાની નજીક આવેલું છે. આવો જણાવીએ આ તળાવ વિશે અને ત્યાંના શેષનાગની મહિમા વિશે.
પહેલગામથી તેનું અંતર આશરે 32 કિ.મી. અને ચંદનવાડીથી લગભગ 16 કિ.મી. છે. આ તળાવ આશરે દોઢ કિ.મી.ની લંબાઈમાં ફેલાયેલું છે. અમરનાથ યાત્રામાં શેષનાગ તળાવનું ધાર્મિક મહત્વ છે. સેંકડો વર્ષોથી આ તળાવ જામીન જાય છે. એથી જ અહિં સુધી પહોંચવું મુશ્કેલ બની જતું હોય છે.
લોકવાયકા છે કે આ તળાવમાં સાક્ષાત શેષનાગનો વાસ છે. અને તે દિવસમાં એક વાર તળાવ બહાર આવીને દર્શન દે છે. પણ આ દર્શન નસીબદારને જ થાય છે. કહેવાય છે કે ભગવાન ભોળાનાથ જ્યારે માતા પાર્વતીને અમરનાથની કથા સંભળાવવા માટે લઈને જઈ રહ્યાં હતા ત્યારે પોતાની પાસે રહેલા સાંપો કે નાગોને અનંતનાગમાં નંદીને પહેલગામમાં ચંદ્રમાને ચંદનવાડીમાં અને શેષનાગને આ તળાવમાં છોડી દીધાં હતા.
ભોળાનાથ નહોતા ઈચ્છતા કે અમરનાથની કથા કોઈ અન્ય સાંભળે. કારણ કે જો કોઈ અન્ય આ કથા સાંભળી લે તો તે અમર થઈ જાય અને સૃષ્ટિનો મૂળ સિદ્ધાંતમાં ગડબડ થઈ જાય. ભગવાન શિવે શેષનાગને આ તળાવમાં છોડી દીધાં હતાં તેનું કારણ એ હતું કે આ તળાવને પાર કરીને કોઈ આગળ ન જઈ શકે. એવું માનવામાં આવે છે કે આજે પણ શેષનાગ તળાવના પાણીમાં દેખાય છે.