રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીના આવાસ એન્ટિલિયાની બહાર શંકાસ્પદ કાર અને વિસ્ફોટકો મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંઘની બદલી
પરમવીર સિંઘને હોમગાર્ડ વિભાગમાં ટ્રાન્સફર કરાયા
નવા કમિશનર તરીકે હેમંત નગરાલે ચાર્જ સંભાળશે
આ કારના માલિક મનાતા શખ્સ મનસુખ હિરેનની શંકાસ્પદ હાલતમાં મોતની ઘટના પછી સરકાર પર દબાણ વધતાં તત્કાળ ડેમેજ કંટ્રોલની કાર્યવાહી જરૂરી હતી અને કાલ રાત્રે ગૃહમંત્રી અનિલ દેશમુખ અને સીએમ ઉદ્ધવ ઠાકરે વચ્ચે વાતચીત થઈ હતી, જેના પછી આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે.
એંટીલિયા કેસમાં ગઈ ખુરશી
આ મામલે વધુ તપાસ હાથ ધરતા મુંબઈ પોલીસના હાથે અમુક કડીઓ હાથ લાગી હતી, અને આ કારના માલિક તરીકે મનસુખ હિરેનનું નામ બહાર આવ્યું હતુ, પરંતુ આ શખ્સનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું અને તેની લાશના મોઢામાંથી પાંચ રૂમાલો મળી આવ્યા હતા, આ ઘટના પછી તેની હત્યા થઈ હોવાનું મનાઈ રહ્યું હતું, આ મામલાને લઈને વિપક્ષ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ સરકારને ઘેરી હતી અને આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.
મહત્વનું છે કે આ કેસની તપાસ હાલમાં NIA કરી રહી છે અને પોલીસ કર્મચારી સચિન વાજેની આ કેસમાં શંકાસ્પદ ભૂમિકાને પણ એજન્સી દ્વારા દરેક એંગલેથી તપાસવામાં આવી રહી છે, જો કે ચોતરફથી દબાણ વધતાં સચિન વાજેની ધરપકડ પછી ઉદ્ધવ સરકારને ડેમેજ કંટ્રોલ માટે વધુ એક નક્કર કાર્યવાહી કરી દેખાડવાની જરૂર લાગી રહી હતી, માટે મુંબઈ પોલીસ કમિશનર પદેથી જૂના અધિકારી પરમવીર સિંઘની ટ્રાન્સફર કરીને નવા અધિકારી હેમંત નગરાલેની નિયુક્તિ કરવામાં આવી હોય તેવુ મનાઈ રહ્યું છે.