હિમાચલ પ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતના 400 યાત્રાળુઓ ફસાઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે બ્રિજ તૂટી ગયો છે. જેના કારણે વડોદરાના 10 લોકો ફસાઈ ગયા છે. હિમાચલના ચંબાથી મણિમહેશ વચ્ચે 13 હજાર જેટલા યાત્રાળુઓ ફસાઈ ગયા છે. જ્યારે બીજી તરફ હર્ષલથી મણિમહેશ વચ્ચે 3 હજાર જેટલા યાત્રાળુઓ ફસાઈ ગયા છે.
ચંબામાં મણિમહેશ યાત્રા પર એક વાર ફરી વરસાદનો કહેર જોવા મળ્યો છે. જેમાં હજારો શિવભક્તોને યાત્રાને લઇને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક મળતાં અહેવાલ મુજબ પરઘાંલાની નજીક બ્રિજના ધોવાણના કારણે મણિમહેશ યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.
આમ હિમાચલમાં ભારે વરસાદના પગલે ચંબા જિલ્લાની મણિમહેશ યાત્રા રોકી દેવામાં આવી છે. ભ્રંગનાલામાં ભરમોરને હડસરથી જોડનારા પુલને ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. આ કારણે હજારો શ્રદ્ધાંળુઓ ફસાયા છે.
હિમાચલમાં ભારે વરસાદથી સ્થિતિ ખરાબ
ભારે વરસાદના કારણે શિમલાના બડહલ ગામમાં રાષ્ટ્રિય રાજમાર્ગ-5 પર વાહનવ્યવહાર ખોરવાયો છે. સાથે ચંબામાં પણ ભારે વરસાદના કારણે ભારંગલા નાલા પાસે પુલ વહી ગયો છે. સોમવારે સવારે અહીં 4 વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થયું હતું. કેટલાક વાહનો નુકસાન પામ્યા છે તો કેટલાક કાટમાળમાં દબાઈ ગયા છે.