પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા જામનગર, અરવલ્લી અને વડોદરામાં આરોગ્ય કર્મીઑએ હડતાળ પર ઉતરી કલેક્ટરને આવેદનપત્ર આપી સમસ્યાનો અંત લાવવા માંગ ઉઠાવી હતી.
જામનગર, અરવલ્લી અને વડોદરામાં આરોગ્ય કર્મીઑની હડતાળ
કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નોની રજૂઆત
મહિલાઓએ કર્યા આકરા સૂત્રોચ્ચાર
રાજ્યમાં આશાવર્કર બહેનો દ્વારા પોતાની પડતર માંગને લઈને અનેક વખત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આશરે એકાદ માસથી વિરોધ કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.પ્રશ્નોનો ઉકેલ ન આવતા આશા વર્કરો બહેનો આકરા પાણીએ થયા છે અને પોતાની માંગને સરકાર સુધી પહોંચાડમાં બહેનોએ બાયો ચડાવી છે. જેને લઈને આજે જામનગર, અરવલ્લી અને વડોદરા સહીતના શહેરોમાં વર્કરોએ વિરોધ નોંધાવ્યો હતો.
જામનગરમાં 1400 જેટલી આશા વર્કરોએ આપ્યું આવેદનપત્ર
જામનગરમાં 1400 જેટલી આશા વર્કરોને સન્માન જનક વેતન ન મળવાથી અચોક્કસ મુદ્દતની હડતાળનો માર્ગ અપનાવ્યો છે. જેને લઇને આજે આશા વર્કર બહેનોએ કમિશનરને આવેદન પાઠવી રજુઆત કરી હતી. જે રજૂઆતમાં જણાવ્યું કે આશા વર્કર બહેનોને ઇન્સેન્ટીવ જેવી શોષણ ભરી પ્રથા બંધ કરી ફિક્સ વેતન કે લઘુતમ વેતન આપવામાં આવે વધુમાં વર્ગ 4નું કાયમી મહેકમ ઉભુ કરી તેમાં સમાવેશ કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. ઉપરાંત કામગીરીનો સમયગાળો નક્કી કરવામાં આવે અને પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવે તે સહીતની માંગનો રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં 700થી વધુ આંગણવાડી અને તેડાઘરની મહિલાઓ પોહચી કલેકટર કચેરી
બીજી બાજુ વડોદરામાં પણ આંગણવાડીના કર્મચારીઓ પોતાની માંગને લઇને હડતાળ પર ઉતાર્યા છે.જેમાં સરકાર તરફથી રાહતનું તેડું ન આવતા સતત 6 દિવસે પણ હડતાળ યથાવત રહેવા પામી હતી. આજે 700થી વધુ આંગણવાડી અને તેડાઘરની મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી હતી અને પગાર વધારો, કાયમી કરવાની માગ સાથે મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. એટલું જ નહિ કલેક્ટર કચેરી ખાતે મહિલાઓએ આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા.
અરવલ્લીમાં આરોગ્યકર્મીની હડતાળ યથાવત
આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં પગાર વિસંગતા દૂર કરવા, કર્મચારીઓને કોરોના કાળ દરમીયાનનું 130 દિવસનું ભથ્થું આપવા સહીતની માંગ ઉઠાવી હતી. જેમાં સરકાર સાથે 3 વાર ચર્ચા બાદ પણ ઉકેલ ન આવતા કર્મચારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે અને સરકાર પર વિશ્વાસ ન હોવાનું પણ કર્મચારીઑએ નિવેદન આપ્યું હતું.