યુપીના બલરામપુરમાં એક અજીબ ઘટના બની છે જેમાં સાપ કરડવાથી મરેલા ભાઈની અંતિમવિધિમાં આવેલા નાના ભાઈનું પણ સાપ કરડવાથી મોત થયું હતું.
યુપીના બલરામપુરની ચોંકાવનારી ઘટના
એક યુવાનનું થયું સર્પદંશથી મોત
ભાઈની અંતિમવિધિમાં આવેલા નાના ભાઈને પણ કરડ્યો સાપ
તેનું પણ થયું મોત
યુપીના બલરામપુરમાં બનેલી એક ઘટનાએ લોકોને વિચારતા કરી મૂક્યા છે અને ખરેખર બન્યું પણ એવું જ છે. એક સાપે બે ભાઈઓને ડંખ મારીને મારી નાખ્યા પરંતુ અલગ અલગ સમયે. ઘટના એવી છે કે બલરામપુરના 38 વર્ષીય અરવિંદ મિશ્રા નામના એક વ્યક્તિનું સર્પદંશને કારણે મોત થયું હતું.
નાના ભાઈને પણ ઊંઘમાં કરડ્યો સાપ
અરવિંદની અંતિમવિધિમાં ભાગ લેવા માટે દૂર રહેતો તેનો નાનો ભાઈ ગોવિંદ પણ આવ્યો હતો. અરવિંદની અંતિમવિધિ પતાવીને બધા ઘેર આવ્યાં હતા અને રાતે ઊંઘમાં ગોવિંદને પણ સાપ કરડી ગયો હતો અને આથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું.
એક જ સાપ બે ભાઈઓને કેવી રીતે કરડી શકે, લોકોના મનમા સવાલ
આ અજીબ ઘટના બાદ લોકોમાં મનમાં પણ સવાલ ઉઠ્યો છે કે એક જ સાપ બે ભાઈઓને કેવી રીતે કરડી શકે. આખરે બન્ને ભાઈઓેએ એવો તો શું ગુનો કર્યો હતો કે સાપ તેમને બન્નેને કરડી ગયો હતો. આ સવાલ લોકોની સમજથી બહાર છે.
બન્ને ભાઈઓને કરડેલો સાપ ઝેરી
ગોવિંદની સારવાર કરનાર ડોક્ટરે એવું જણાવ્યું કે બન્ને ભાઈઓને કરડનાર સાપ ઝેરી હશે તો જ તેમને ઘણું ઝેર ચડ્યું હશે અને તેમના મોત થયા હશે. તેમણે ચોમાસાની સિઝનમાં લોકોને વધારે સાવધ રહેવાની પણ ચેતવણી આપી હતી.
યુપી સરકારે સાપથી થતા મોતને રાજ્ય આપદા સંકટ જાહેર કરેલું છે
ઉલ્લેખનીય છે કે યુપી સરકારે સાપથી થતા મોતને રાજ્ય આપદા સંકટ જાહેર કરેલું છે જે હેઠળ સર્પદંશથી મરેલા લોકોના પરિવારને ચાર લાખની આર્થિક સહાય મળે છે. જુલાઈ 2021માં યોગી સરકારે આ મોટો નિર્ણય કર્યો હતો.