રાજ્ય સરકારે પોતાનો જવાબ કોર્ટ સમક્ષ આપતા કહ્યું કે, જનતાની સમસ્યા પર ધ્યાન આપીશું. ટ્રાફિક, રોડ, ઢોર મુદ્દે જનતા ફરિયાદ કરી શકે માટે ટોલ ફ્રી અને પોર્ટલ બનાવીશુ.
ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને લતાડ
રખડતા ઢોર-ટ્રાફિક અને રસ્તા મુદ્દે ઉધડો
સરકારે કહ્યું, 'જન સમસ્યા એ અમારી સમસ્યા'
રાજ્યમાં રખડતા ઢોર-ટ્રાફિક અને રસ્તા સમસ્યાના મામલે ફરી એક વાર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. ગુજરાત હાઈકોર્ટે નિરીક્ષણ કરતા કહ્યુ કે, કાયદો બન્યા બાદ અમલીકરણ થતું નથી,સરકારે આ અમલીકરણ પર ધ્યાન આપવાની જરૂર છે. તો રાજ્ય સરકારે પોતાનો જવાબ કોર્ટ સમક્ષ આપતા કહ્યું કે, જનતાની સમસ્યા પર ધ્યાન આપીશું,અને જનતાના હિત માટે ટોલ ફ્રી નંબર, ઇ પોર્ટલ પણ બનાવીશું. ટ્રાફિક, રોડ, ઢોર મુદ્દે જનતા ફરિયાદ કરી શકે માટે ટોલ ફ્રી અને પોર્ટલ બનાવીશુ. વધુમાં એમ પણ કહ્યું કે, જનતાની સમસ્યા અમારી સમસ્યા છે.
આ મુદ્દાઓ પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે ટકોર કરતાં કહ્યું હતું કે કાયદા અને નિયમો બન્યા છે, પરંતુ પ્રશાસન એનો યોગ્ય અમલ કરાવે એ પણ જરૂરી છે. ચીફ જસ્ટિસે પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસના પ્રવેશ ગેટ પર 10થી વધુ રખડતાં પશુએ રસ્તો બ્લોક કરી નાખ્યો હતો. તેમણે એવી પણ ટકોર કરી હતી કે મને સલાહ આપવામાં આવી છે કે શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ છે, જેથી રસ્તા પર ચાલવા નીકળવું જોઈએ નહીં.
હાઈકોર્ટે કર્યો શ્વાનના ત્રાસનો પણ ઉલ્લેખ
ચીફ જસ્ટિસે રખડતા શ્વાનના ત્રાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે રખડતા શ્વાનના ત્રાસને લઈને રસ્તા પર ચાલવા નીકળવું જોઈએ નહીં એવી મને સલાહ અપાઈ છે. શ્વાનથી તકલીફ નથી, પણ કોઈની મજા કોઈની સજા ના બનવી જોઈએ એવી ટકોર કરી હતી.
આગામી સુનાવણી 19 જાન્યુઆરીએ હાથ ધરાશે
આ મામલે કોર્ટે સ્થાનિક પ્રશ્નો મુદ્દે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટીને ફરિયાદ નિવારણ માટેની જવાબદારી સોંપવામાં પણ કહ્યું. નાગરિકો માટે ટોલ ફ્રી નંબર અને ઇ-પોર્ટલ શરૂ કરવા, જ્યાં નાગરિકો પોતાની સમસ્યા ફોટા સહિત મોકલી શકે એ માટેના નિર્દેશ આપ્યા છે. આ બાબતોનું લીગલ સર્વિસીઝ ઓથોરિટી મોનિટરિંગ કરશે અને તે અંગેનો અહેવાલ ગુજરાત હાઇકોર્ટને સોંપશે. આ મુદ્દે આગામી સુનાવણી 19 જાન્યુઆરીએ હાથ ધરાશે.
મહાપાલિકાની હદમાં બે-હદ ત્રાસ
અમદાવાદ, રાજકોટ, વડોદરા, જુનાગઢ, જામનગર અને ભાવનગર જેવા શહેરોમાં રખડતા ઢોરનો અનહદ ત્રાસ છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખે બે માસ પહેલા જ નાગરિકોને અડચણ, ટ્રાફિક સમસ્યા અને રઝળતા પશુઓથી થતી હેરાનગતિથી છૂટકારો અપાવવા જાહેર મંચ પરથી અભિપ્રાય આપી, મહાનગરના સતાધીશોને ટકોર કરી હતી. હવે જ્યારે રઝળતા ઢોરનો મુદ્દો મહાનગર પાલિકાની બેઠકમાં ચર્ચાયો છે ત્યારે, સરકારના માર્ગદર્શન બાદ આગળનો નિર્ણય લેવાઈ શકે છે.
ભવિષ્ય માટે તકેદારી
ઉલ્લેખનીય છે કે, 2018-19માં ગુજરાત હાઈકોર્ટે પણ એક PIL બાદ, રખડતા ઢોર મુદ્દે મહાનગર પાલિકા-અમદાવાદની ઝાટકણી કાઢી વેધક સવાલો પૂછ્યા હતા. હવે ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ના થાય તે માટે, મહાનગર પાલિકાએ નવી યોજના તૈયાર કરી છે.
અમદાવાદમા રખડતા ઢોરથી નાગરિકો ત્રાહિમામ પોકારી ચુક્યા હતા પરંતુ તંત્ર આંખ આડા કાન કરી ઢોર નહિ પકડવા મુદ્દે લાંચ લેતું રહ્યું. આખરે સી.આર. પાટીલે એક જાહેર કાર્યક્રમમાં મનપાને રખડતા ઢોર મામલે કાર્યવાહી કરવા સૂચના આપતા તંત્ર એક્શનમાં આવ્યું અને કામગીરી બતાવી. છેલ્લા 27 દિવસમાં AMCના CNCD વિભાગ દ્વારા 2000 રખડતા ઢોર પકડવામાં આવ્યા અને પશુ મામલે 160 પોલીસ ફરિયાદ કરવામાં આવી.
અમદાવાદમાં રખડતા ઢોર પકડવામાં માટે CNCD વિભાગ દ્વારા 9 ટિમો બનાવી ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. છેલ્લા 10 દિવસમાં 1275 ઢોર પકડવામાં આવ્યા છે તો એપ્રિલ મહિનાની સરખામણીમાં ઢોર પકડવાની કામગીરી 4 ગણી વધારે છે. 3 મહિનાથી વધારે સમય થાય અને ઢોર મલિક ઢોર છોડવાવા ન આવે તો ઢોરને પાંજરાપોળ મોકલવામાં આવે છે, જ્યાં એક પશુનો નિભાવ ખર્ચ રૂ 2500 આપવામાં આવતો હતો જે હવે વધારીને રૂ 4 હજાર કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં રૂ 1.25 કરોડ નિભાવ ખર્ચ ચુકવામાં આવ્યો છે અને 7850 પશુઓ પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે.