અમદાવાદના બોપલમાં જર્જરિત પાણીની ટાંકી ધરાશાયી થતાં 3ના મોત થયા જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને લઇ VTV એ અમદાવાદમાં જર્જરિત ટાંકીઓનું રિયાલીટી ચેક કર્યું છે. ત્યારે શહેરના 9 વિસ્તારોમાં 20 વર્ષથી જૂની અને જર્જરિત પાણીની ટાંકીઓ જોવા મળી છે. જે મોત બનીને ઉભી છે પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી.
અમદાવાદના જોધપુર, મેમનગર, ઓગણજ, ગોતા, રામોલ, હાથીજણ, કાળીગામ, રાણીપ વેજલપુર, સરખેજ જેવા અનેક વિસ્તારોમાં 50થી વધુ પાણીની જર્જરિત ટાંકીઓ છે. જેના સ્ટ્રક્ચરની તપાસ કરવી અનિવાર્ય છે, પરંતુ તેનું ઇન્સ્પેક્શન કરી તેના સ્ટ્રક્ચરની ચકાસણી થતી નથી.
જોધપુરમાં શાળાની બાજુમાં જર્જરિત ટાંકી
જોધપુર ગામમાં આવેલી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોવાના કારણે ગમે ત્યારે દુર્ઘટના થાય તેવી શક્યતા છે અને આ ટાંકી પાસે સરકારી સ્કૂલ છે. જેથી બાળકો માટે આ ટાંકી જોખમી સાબિત થઇ શકે છે. જ્યારે ટાંકી પાછળ ફ્લેટ હોવાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છે. આ મામલે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
મેમનગરમાં સળિયા દેખાવા છતાં મ્યુનિ. કહે છે કે જર્જરિત નથી
મેમનગરમાં વર્ષો જૂની જર્જરિત ટાંકી છે. જેના સળિયા દેખાય છે, પોપડાં ઉખડી ગયા છે. સ્ટ્રક્ચર પણ સાવ જર્જરિત થઇ ચૂક્યું છે, પરંતુ આજ સુધી મ્યુનિ. એ આ ટાંકીને ભયજનક ઘોષિત કરી નથી. સ્થાનિકોએ અનેક રજૂઆત કરી છતાં પણ કોઇ કામગીરી કરવામાં આવતી નથી. જ્યારે રામોલ ગામતળમાં વર્ષો જૂની પાણીની ટાંકી આવેલી છે તે રામોલ ગ્રામ પંટાયતે બંધાવી હતી, પણ છેલ્લા કેટલાય સમયથી આ ટાંકી જર્જરિત છે. જે અંગે સ્થાનિક કોર્પોરેટર વારંવાર ફરિયાદ કરી ચૂક્યા છે છતાં તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.
ગોતા અને હાથીજણમાં મોત બની ને ઉભી છે
ગોતા વિસ્તારમાં જર્જરિત પાણીની ટાંકી થીગડાં મારી ચલાવવામાં આવી રહી છે. તો ઓગણજમાં જર્જરિત પાણીની ટાંકી સ્થાનિકો માટે જોખમ બનેલી છે. જ્યારે શહેરના હાથીજણ હાઉસિંગ બોર્ડની વસાહતમાં વર્ષો જૂની પાણીની ટાંકી જોખમ બનીને ઉભી છે. આ ઉપરાંત શહેરના કાળીગામ, રાણીપ વેજલપુર, સરખેજ સહિતના અન્ય વિસ્તારોમાં વર્ષો જૂની પાણીની ટાંકીઓ આવેલી છે. જેના સ્ટ્રક્ચરની તપાસ કરવી અનિવાર્ય છે.
બોપલની દુર્ઘટનામાં હંગામી એન્જિ. સસ્પેન્ડ
બોપલમાં સોમવારે ધરાશાયી થયેલી ટાંકીમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે આ મામલે બોપલ નગરપાલિકામાં 6 મહિના પહેલા જ નોકરી પર લાગેલા જૂનિયર ઈજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓને બચાવવાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.