ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એલાન કર્યું કે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખુલ્લી રાખી શકાશે હોટલો
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વની જાહેરાત
નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ હોટલ ખુલ્લી રહેશે
અગાઉ લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડવાની આપી હતી મંજૂરી
આગામી તા. 26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 9 દિવસ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી દેવાઈ છે. તે બાદ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજી મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ હોટલ ખુલ્લી રહેશે. એટલે કે ખેલૈયાઓ હવે ગરબાની મોજ માણી ખાણી પીણીનો આનંદ પોલીસની રોકટોક વગર લઈ શકશે.
9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકરની પરવાનગી પણ..
આગામી તા. 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાએ કેડો છોડતા ચાલુ સાલ રાજકોટમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનનો હાથ ધરવામાં આવ્યા છે. તેવામાં ગરબા સંચાલકોમાં ગરબાના સમયને લઇ અસમંજસમાં મુકાયા હતા. તે મુંઝવણનો હવે અંત આવી ગયો છે. નવરાત્રીને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે કે નવરાત્રીમાં 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે.હોસ્પિટલ, કોર્ટ અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસનો 100 મીટર કે તેથી વધુનો વિસ્તાર સાઇલન્સ ઝોન જાહેર છે તે પણ સરકારે વિદિત કર્યું છે.
હર્ષ સંઘવીએ શું લખ્યું હતું?
ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.
12 વાગ્યા સુધી બોલાશે રમઝટ
નવ દિવસ માતાજીની આરાધના કરવાના દિવસો એટલે નવલા નોરતા. જે પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રીના આયોજનો અને ખેલૈયાઑમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારે દર નવરાત્રીની જેમ આ વખતે પણ લાઉડ સ્પીકર માટે રાત્રે 12 વાગ્યા સુધીની પરમીશન આપતા હવે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.