ગુજરાત કોંગ્રેસમાં ગ્રૂપવાદ તો અગાઉ સામે આવી જ ગયો છે ત્યારે હવે યુથ કોંગ્રેસની ચૂંટણી પહેલા હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલના ગ્રૂપનો પણ વિખવાદ સપાટી પર
ચૂંટણી ટાણે જ કોંગ્રેસમાં વિખવાદ કેમ?
યૂથ કોંગ્રેસના પ્રમુખ બનવા ધમપછાડા
હાર્દિક-ઈન્દ્રવિજયસિંહ આમને-સામને
વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થતાં જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. યૂથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં જ બે ભાગ પડી ગયા છે. હાર્દિક પટેલ અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલના ગ્રૂપ હવે આમને-સામને આવી ગયા છે. જેમાં બન્નેના ગ્રૂપ પોતાના સમર્થકમાંથી કોઈને પ્રમુખ બનાવવા માટે મક્કમ છે.
યૂથ કોંગ્રેસની ચૂંટણી ટાણે જ બે ભાગ પડતા કોંગ્રેસના નેતાઓ માટે મુંઝવણ જોવા મળી રહી છે. હાલમાં ઇન્દ્રવિજયસિંહ ગ્રૂપના ઉમેદવારોમાં ઋતુરાજ ચુડાસમા, જયેશ દેસાઇ, અભય જોટવા છે. તો બીજી તરફ હાર્દિક પટેલના સમર્થકોમાં વિશ્વનાથસિંહ વાઘેલા છે.
યુથ કોંગ્રેસની ચૂંટણીમાં જે ટોપ-થ્રી સભ્યની પસંદગી કરાશે તેમનું દિલ્લી ખાતે ઇન્ટરવ્યૂ પણ ગોઠવવામાં આવશે. ઇન્ટરવ્યૂ પછી ગુજરાતના યૂથ કોંગ્રેસના પ્રમુખ જાહેરાત કરાશે. 15 દિવસમાં 1 લાખ 82 હજારથી વધુ યૂથ કોંગ્રેસના સભ્યો બનાવાયા છે. જેમાં એક સભ્યની નોંધણી ફી રૂપિયા 50 હોય છે. ફી ભર્યા બાદ જ સભ્ય મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
AAPમાં જોડાયેલા નિખીલ સવાણીએ યૂથ કોંગ્રેસ પર લગાવ્યા હતા આક્ષેપ
આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નિખીલ સવાણીએ યૂથ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા. સવાણીએ કહ્યું હતું કે, યુથ કોંગ્રેસ દ્વારા દર ત્રણ વર્ષે મેમ્બરશીપ અભિયાન માત્ર રૂપિયા ઊઘરાવવા માટે જ થાય છે. તો કોંગ્રેસ છોડ્યા બાદ પત્રકાર પરિષદમાં સવાણીએ કહ્યું કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના ઘરે કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યા હતા. પરંતુ પ્રદેશ કોંગ્રેસના નેતા હજુ હાર્દિક પટેલના ઘરે ગયા નહોતા. હાર્દિક પટેલના પિતાનું અવસાન થયું છતાં કોઈ ઘરે ગયું નહોતું. હાર્દિક પટેલની કોંગ્રેસમાં સતત અવગણના થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ કાર્યક્રમ હાર્દિક પટેલની સતત અવગણના થાય છે. કોંગ્રેસના નેતાઓ જ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરૂ ઘડી રહ્યા છે.